અમદાવાદ,ગુરૂવાર
અમદાવાદ નજીક આવેલા ગ્યાસપુર ગામ પાસે આવેલા સાબરમતી નદીના પટમાં કેટલાંક ખનન માફિયાઓ મોટાપાયે સક્રિય થતા ગામના સ્થાનિક લોકોએ તેમને રોકવાનો પ્રયાસ કરતા ધમકી આપવામાં આવી હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફે સ્થળ પરથી હીટાચી મશીન અને જેસીબી મશીન જપ્ત કર્યા હતા. જ્યારે ત્યાં રહેલા લોકો ફરાર થઇ ગયા હતા. આ અંગે નારોલ પોલીસે રિપોર્ટ કરીને ખાણ-ખનીજ વિભાગને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના છેવાડે આવેલા ગ્યાસપુર ગામ પાસે આવેલી સાબરમતી નદીના પટમાં છેલ્લાં ઘણા સમયથી મહેશ માતમભાઇ ભરવાડ અને તેના સાગરિતો દ્વારા જેસીબી અને હીચાટી મશીનથી રેતીનું ગેરકાયદે ખનન કરીને મોટાપ્રમાણમાં રેતીની ચોરી કરવામાં આવતી હતી. ચોરીના રેતી લઇને જતાડમ્પર ગામના એક સ્થાનિક ખેડૂતોના ખેતરમાંથી જતા હોવાથી તે પરેશાન હતા અને આ મામલે તેમણે મહેશ ભરવાડને અનેકવાર સમજાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ, તે સતત ધમકી આપતો હતો એટલું જ રેતી ભરેલા ડમ્પરને ગામમાંથી જોખમી રીતે પસાર કરવામાં આવતા હતા.
જેથી ગુરૂવારે ગામના સ્થાનિક લોકો નદીના પટમાં ગયા હતા અને રેતીનું ખનન રોકવા માટે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જેથી નારોલ પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફ સ્થળ પર દોડી આવતા મહેશ ભરવાડ અને તેના સાગરિતો ૩ હીટાચી અને પાંચ જેસીબી મશીન મુકીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. કરોડોની કિંમતના મશીનોને પોલીસ મથકે લાવીને નારોલ પોલીસે આ અંગે ખાણ ખનીજ વિભાગને જાણ કરવા માટે તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ સ્થાનિક ગ્રામજનોએ મહેશ ભરવાડ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે.










