![]()
Vijay Mallya – Nirav Modi Case: ભારતમાંથી ભાગી ગયેલા આર્થિક ગુનેગારો અને ભાગેડુઓને ભારતમાં પરત લાવવાના પ્રયાસો તીવ્ર કરતાં બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS)ની ટીમે તાજેતરમાં જ દિલ્હી સ્થિત તિહાડ જેલની મુલાકાત કરી હતી. મળતી માહિતી પ્રમાણે આ મુલાકાત જુલાઈમાં થઈ હતી, જેમાં બ્રિટનના પાંચ મેમ્બરોનો સમાવેશ થાય છે. ટીમના આ પ્રવાસ હેતુ બ્રિટિશ કોર્ટમાં સાબિત કરવાનો હતો કે ભારત પ્રત્યાર્પણ કરાયેલા આરોપીઓને તિહાડ જેલમાં સુરક્ષિત અને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવશે.
આ પણ વાંચો: ‘PM મોદીએ ફોન કરીને કહ્યું હતું કે GST લોકો માટે સરળ બનાવો’, સીતારમણે જણાવ્યો 8 મહિના જૂનો કિસ્સો
હકીકતમાં હાલમાં જ બ્રિટિશ અદાલતોએ તિહાડની સ્થિતિને લઈને અનેક કેસોમાં ભારતની પ્રત્યાર્પણ અરજીઓને ફગાવી દીધી હતી. જેથી ભારત સરકારે બ્રિટનને ખાતરી આપી હતી કે, જેલમાં ન તો કોઈ આરોપીને મારવામાં આવશે અને ન તો ગેરકાયદે કોઈ પૂછપરછ કરવામાં આવશે.
જેલની સુવિધાઓનું નિરીક્ષણ
CPSની ટીમે તિહાડની હાઈ સિક્યુરિટી વોર્ડનું નિરીક્ષણ કર્યું અને ત્યાં હાજર કેદીઓ સાથે પણ વાતચીત કરી હતી. અધિકારીઓએ ટીમને ખાતરી આપી કે, જો જરૂર પડશે તો જેલ પરિસરમાં એક ખાસ “એન્ક્લેવ” બનાવવામાં આવશે, જ્યાં વિજય માલ્યા, નીરવ મોદી જેવા હાઇ-પ્રોફાઇલ આરોપીઓ સુરક્ષિત રહી શકે છે.
પ્રત્યાર્પણ મામલે મહત્ત્વ પૂર્ણ પગલું
ભારત પાસે અત્યાર સુધીમાં 178 પ્રત્યાર્પણ અરજીઓ વિદેશમાં પેન્ડિંગ છે, જેમાંથી લગભગ 20 તો માત્ર બ્રિટનમાં જ ફસાયેલી છે. જેમાં વિજય માલ્યા, નીરવ મોદી, હથિયારોના વેપારી સંજય ભંડારી અને કેટલાક ખાલિસ્તાની નેતાઓના નામ સમાવેશ થાય છે. ભારત સરકાર આ કેસોમાં બ્રિટન સાથે સતત કોઓડિનેસન કરી રહી છે.
ભારતે ખાતરી આપી
આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય બ્રિટિશ અદાલતોને ખાતરી આપવાનો છે કે, ભારત પ્રત્યાર્પણ કરાયેલા આરોપીઓને માનવ અધિકારો અનુસાર સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે, જેલમાં કેદીઓ સાથે કોઈ ગેરકાયદે વ્યવહાર કરવામાં નહી આવે.
આ પણ વાંચો: ‘અમે રશિયાથી ઓઈલ ખરીદતા રહીશું’, ટેરિફ વિવાદ વચ્ચે નાણામંત્રી સીતારમણનો અમેરિકાને જવાબ
વિજય માલ્યા અને નીરવ મોદી સામે શું છે આરોપ
વિજય માલ્યા અને નીરવ મોદી પર ભારતમાં છેતરપિંડી, મની લોન્ડરિંગ અને ગુનાહિત કાવતરાનો આરોપ છે. બંને આરોપીઓ બેંક લોન ડિફોલ્ટ કેસોમાં સંડોવાયેલા છે અને આરોપો સામે આવ્યા પહેલાં તેઓ બ્રિટન ભાગી ગયા હતા. ભારતીય અદાલતોએ તેમને ‘ભાગેડુ આર્થિક ગુનેગાર’ જાહેર કર્યા હતા.










