Mumbai Police Issues Notice to Manoj Jarange Patil: મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈને ચાલી રહેલા આંદોલનમાં સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે તણાવ વધ્યો છે. અનિશ્ચિતકાળ માટે ઉપવાસના પાંચમા દિવસે મુંબઈ પોલીસે મરાઠા અનામત નેતા મનોજ જરાંગે પાટીલને આઝાદ મેદાન ખાલી કરવા નોટિસ આપી. આ ઉપરાંત હાઈકોર્ટે પણ દેખાવકારોને બીજી સપ્ટેમ્બરે ચાર વાગ્યા સુધી રસ્તા ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હાઈકોર્ટના આદેશોનું પાલન કરવાની ખાતરી આપી છે. જો કે, જરાંગેએ અનામત વગર પાણી પીવાનું બંધ કરવાનો તેમજ મુંબઈ નહીં છોડવાની ચીમકી આપી છે, જેથી સ્થિતિ વધુ ગંભીર બની છે.
પોલીસે નોટિસ જારી કરી
મુંબઈ પોલીસે મનોજ જરાંગેને આઝાદ મેદાન ખાલી કરવા માટે નોટિસ જારી કરી છે. પોલીસનું કહેવું છે કે આઝાદ મેદાનમાં માત્ર 5000 લોકોને જ પરવાનગી આપવામાં આવી હતી, જ્યારે અહીં વધુ લોકો એકઠા થયા છે. પ્રદર્શનકારીઓના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે. આ ઉપરાંત, ઘણા લોકો શરતોનું ઉલ્લંઘન કરીને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કરી ચૂક્યા છે. તેથી, મનોજ જરાંગે પાટીલને આપવામાં આવેલી પરવાનગી રદ કરવામાં આવી રહી છે.
આંદોલનકારીઓ દ્વારા શાંતિપૂર્ણ દેખાવોની શરતોનું ઉલ્લંઘન
એક દિવસ પહેલાં, હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, મરાઠા અનામત આંદોલનને કારણે આખું શહેર થંભી ગયું છે અને આ પ્રદર્શન શાંતિપૂર્ણ નથી, તેમજ તેમાં તમામ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં જરાંગેનું આંદોલન ચાલુ રહેતાં, હાઈકોર્ટે સોમવારે સ્થિતિને ગંભીર ગણાવીને એક વિશેષ સુનાવણી દરમિયાન કહ્યું કે આંદોલન માટે નક્કી કરાયેલી તમામ પૂર્વ શરતોનું ઉલ્લંઘન થયું છે અને તેણે પ્રદર્શનકારીઓને આંદોલન માટે નિર્ધારિત સ્થાન પર જ રહેવા કહ્યું.
જરાંગેએ સમર્થકોને રસ્તા ખાલી કરવા જણાવ્યું
હાઈકોર્ટે મરાઠા આંદોલનકારીઓ ને રસ્તાઓ બ્લોક કરવા બદલ ઠપકો આપ્યો અને તેમને આઝાદ મેદાનમાં જ રહેવાનો આદેશ આપ્યો. કોર્ટના આદેશ બાદ, 43 વર્ષીય મનોજ જરાંગેએ તેમના સમર્થકોને રસ્તાઓ પરથી હટી જઈને લોકોને પરેશાન ન કરવા જણાવ્યું. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો કે જો જરાંગેની તબિયત બગડે તો સરકાર તેમને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડે. આ મામલે આગામી સુનાવણી મંગળવારે નક્કી કરાઈ છે.
અનામતના લાભ માટે મરાઠાઓને અન્ય પછાત વર્ગ (ઓબીસી) શ્રેણીમાં સામેલ કરવાની માંગ કરી રહેલા જરાંગેએ સોમવારે બપોરે પાણી પીવાનું બંધ કરી દીધું હતું, પરંતુ સાંજે હાઈ કોર્ટના આદેશ બાદ પોતાના સમર્થકોને સંબોધિત કરતી વખતે તેમણે થોડા ઘૂંટ પાણી પીધા.
આ પણ વાંચો: જર્મનીએ ટ્રમ્પને ઝટકો આપ્યો! ભારત પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર, કહ્યું- અમે તો મિત્રતા વધારીશું
જજ પગપાળા કોર્ટ પહોંચ્યા
મરાઠા અનામત આંદોલનને કારણે સામાન્ય લોકોની સાથે-સાથે બોમ્બે હાઈકોર્ટના એક જજને પણ મુશ્કેલી પડી. પ્રદર્શનકારીઓએ દક્ષિણ મુંબઈના રસ્તાઓ પર જજની કાર રોકી દીધી, જેના કારણે તેમને કોર્ટ સુધી પગપાળા જવું પડ્યું. તેમની સાથે સરકારી વકીલ પૂર્ણિમા કંથારિયાને પણ ચાલીને કોર્ટ પહોંચવું પડ્યું, કારણ કે તેઓ પણ ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા.
સીએમ ફડણવીસે કરી જરાંગેની ટીકા
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે કેટલાક લોકો પોતાના રાજકીય ફાયદા માટે મરાઠા અનામત આંદોલનનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે ચેતવણી આપી કે જે લોકો આ સામાજિક મુદ્દાનો દુરુપયોગ કરશે, તેમને મુશ્કેલી થશે અને કોઈએ પણ અંગત લાભ માટે આવા મુદ્દાઓનો ઉપયોગ ન કરવો જોઈએ.











