![]()
– વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન રનરનો અકસ્માત કેસ ઉકેલાયો
– અકસ્માત પછી ફૌજા સિંહ હવામાં સાત ફૂટ ઉછળ્યા હોવાનો દાવો, ડ્રાઈવર અમૃતપાલ ગામડાઓના રસ્તે કરતારપુર ભાગી ગયો હતો
ચંડીગઢ : વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન રનર ભારતીય ફૌજા સિંહનું ૧૧૪ વર્ષની વયે એક માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. ટર્બન ટોર્નાડો નામથી પ્રખ્યાત ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક ફૌજા સિંહને તેમના વતન પંજાબના જાલંધર જિલ્લામાં સોમવારે એક એસયુવીએ ટક્કર મારતા તેમનું મોત નીપજ્યું હતું. પંજાબ પોલીસે ફૌજા સિંહને ટક્કર મારનાર ૩૦ વર્ષીય એસયુવી ચાલક એનઆરઆઈ અમૃતપાલ સિંહ ઢિલ્લોની ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે ફોર્ચ્યુનર કાર પણ જપ્ત કરી હતી.
પંજાબના જાલંધરમાં સોમવારે દુનિયાના સૌથી વૃદ્ધ મેરેથોન રનર ફૌજા સિંહનું ૧૧૪ વર્ષની વયે માર્ગ અકસ્માતમાં નિધન થઈ ગયું હતું. ફૌજા સિંહને તેમના ઘરની બહાર એક ફોર્ચ્યુનર એસયુવીએ ટક્કર મારી દીધી હતી. માથામાં ઈજા થવાના કારણે ફૌજા સિંહનું હોસ્પિટલમાં સોમવારે સાંજે નિધન થયું હતું. અકસ્માતના સાક્ષીઓએ દાવો કર્યો હતો કે, એસયુવી ટકરાયા પછી ફૌજા સિંહ પાંચથી સાત ફૂટ હવામાં ઉછળ્યા હતા.
આદમપુર પોલીસ સ્ટેશનના એસએચઓ હરદેવપ્રીત સિંહે કહ્યું કે, ફૌજા સિંહને ટક્કર માર્યા પછી એસયુવી ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા અને સીસીટીવી ફૂટેજ ચકાસી એસયુવી ડ્રાઈવરની તપાસ હાથ ધરી હતી.
ફૌજા સિંહની અંતિમ ઈચ્છા તેમના છેલ્લા દિવસો બ્રિટનમાં પસાર કરવાની હતી, જે પૂરી થઈ શકી નહીં. એક સ્પોર્ટ્સ ઈવેન્ટ માટે ૨૦૧૫માં પંજાબમાં આવેલા ફૌજા સિંહે તે સમયે એક મુલાકાતમાં કહ્યું હતું કે, પંજાબમાં દરેક જગ્યાએ અસામાજિક તત્વો છે અને પોલીસ કશું જ નથી કરી રહી. કોઈ જાણતું નથી કે કોણ ક્યારે અને ક્યાં આવીને તમને ચાકુ હુલાવી દે, લૂંટી લે અને ભાગી જાય. લંડનમાં આવી સ્થિતિ નથી. તેથી હું મારા અંતિમ દિવસો લંડનમાં પસાર કરવા માગું છું.
પોલીસે હિટ એન્ડ રન કેસના ૩૦ કલાકમાં મંગળવારે મોડી રાતે અકસ્માત કરનારા ૨૬ વર્ષીય એનઆરઆઈ અમૃતપાલ સિંહ ઢિલ્લોની ધરપકડ કરી લીધી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, અમૃતપાલની પૂછપરછ કરવામાં આવતા તેણે ગૂનો કબૂલી લીધો હતો. કરતારપુરનો નિવાસી અમૃતપાલ સિંહ ઢિલ્લો ટુરીસ્ટ વિઝા પર કેનેડા ગયો હતો. ત્યાં જઈને તેણે ૨૦૨૭ સુધીની વર્ક પરમીટ મેળવી હતી. અમૃતપાલ સિંહ ગયા મહિને જ ભારત પાછો ફર્યો હતો.
પોલીસ તપાસમાં અમૃતપાલ સિંહ ઢિલ્લોએ કહ્યું કે, તેને કોઈ કામની ઉતાવળ હોવાથી તિવ્ર ઝડપે એસયુવી ચલાવી રહ્યો હતો અને તેની કાર ફૌજા સિંહ સાથે અથડાઈ હતી. જોકે, અકસ્માતના કારણે તે ગભરાઈ ગયો હતો તેથી ઘટના સ્થળેથી ભાગી છૂટયો હતો. અકસ્માતમાં મરનાર વૃદ્ધ ફૌજા સિંહ હોવાની તેને કોઈ માહિતી નહોતી. મોડી રાતે મીડિયામાં સમાચારો આવ્યા ત્યારે તેને અકસ્માતની ગંભીરતાનો ખ્યાલ આવ્યો હતો.
આરોપી ઢિલ્લો જાલંધરના કરતારપુરના દાસુપુર ગામનો મૂળ નિવાસી છે. અકસ્માત પછી તે જાલંધર જવાના બદલે ગામડાઓના રસ્તે કરતારપુર પહોંચી ગયો હતો. પોલીસે તેના કરતારપુર સ્થિત ઘરમાંથી તેની ધરપકડ કરી હતી.










