![]()
– ગારિયાધાર પોલીસ મથકમાં પતિ વિરૂદ્ધ ગુનો નોંધાયો
– રાત્રે પતિએ માર માર્યા બાદ સવારે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પત્નિએ દમ તોડયો
ભાવનગર : ગારિયાધાર તાલુકાના મેસણકા ગામે પતિએ પત્નિના ચારિત્ર્ય પર શંકા કરી માર મારતા પત્નિનું મોત નિપજ્યું છે. બનાવ અંગે મૃતક મહિલાના ભાઈએ ગારિયાધાર પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે આરોપી પતિને ઝડપી લઈ આગળની તજવીજ હાથ ધરી છે
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામે રહેતા લાલજીભાઈ ભુપતભાઈ દેલવાણીયાએ ગારિયાધાર પોલીસ મથકમાં તેમના બનેવી સંજય જીણાભાઈ પંચાસરા (મુળ રહે.ખોડવદરી, હાલ રહે.મેસણકા, તા. ગારિયાધાર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના બનેવી તેમના બહેન પુનમબેનના ચારિત્ર્ય વિશે શંકા રાખી અવારનવાર માર મારી ઘરેથી કાઢી મુકતા હતો, પરંતુ ચાર સંતાનો હોવાથી પુનમબેન બધુ સહન કરીને રહેતા હતા. દરમિયાનમાં ગત તા.૨૧-૦૮ના રોજ રાત્રિના ૧૧ કલાક આસપાસ પુનમબેન ચાલીને વાડીના શેઢા બાજુ ગયા હતા અને પરત આવતા પતિ સંજયભાઈએ ક્યાં ગઈ હતી તેમ પુછતા પુનમબેને બરાબર જવાબ નહી આપતા તેમને હથિયારો વડે માર મારી શરીર પર ગંભીર ઈજા પહોંચાડી હતી. જે બાદ બીજા દિવસે પુનમબેનની તબિયત ખરાબ હતી તેથી તેમની વાડીના માલિકે પુનમબેનને દવાખાને લઈ જવાનું જણાવતા પતિ અને વાડી માલિકના ભત્રીજા તેમને દવાખાને લઈ જઈ રહ્યાં હતા ત્યારે રસ્તામાં પુનમબેનનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગારિયાધાર પોલીસે ગુનો નોંધી આરોપી પતિને ઝડપી લઈ આગળની તજવીજ હાથ ધરી છે.










