![]()
વડોદરાઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.૯ થી ૧૨ના પાઠય પુસ્તકોમાં ભગવદ્ ગીતાના મૂલ્યોને લગતા પ્રકરણોનો સમાવેશ કરવાની જાહેરાત કર્યા બાદ હવે ડીઈઓ કચેરી દ્વારા ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દુ ભાષામાં ભગવદ ગીતાનો અનુવાદ વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.જોકે બોર્ડે ભગવદ ગીતાને કેવી રીતે સ્કૂલોમાં ભણાવવી તેની કોઈ ગાઈડલાઈન પંદર દિવસ પછી પણ જાહેર કરી નથી અને તેને લઈને સ્કૂલોના આચાર્યો અને શિક્ષકો મૂંઝવણમાં છે.
વડોદરાની એક સ્કૂલના આચાર્યે નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, બોર્ડ દ્વારા તા.૬ ઓગસ્ટના રોજ ઉપરોક્ત જાહેરાત કરાઈ હતી.જોકે એ પછી સ્કૂલોને તેને લગતું કોઈ સાહિત્ય ઉપલબ્ધ કરાવાયું નહોતું.બે દિવસ પહેલા ડીઈઓ કચેરીએ પોતાની વેબસાઈટ પર ચાર ભાષામાં ભગવદ ગીતાના અનુવાદની પુસ્તિકા ડિજિટલ સ્વરુપે અપલોડ કરી દીધી છે.હવે તેનું શિક્ષણ કેવી રીતે આપવું,તેના કેટલા વર્ગો રાખવા, પરીક્ષા કેવી રીતે લેવી તેવી કોઈ જાણકારી અત્યાર સુધી ડીઈઓ કચેરી કે પછી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી નથી.જેના કારણે કોઈ સ્કૂલમાં ભગવદ ગીતાના મૂલ્યોનું શિક્ષણ શરુ થયું નથી.ઉપરાંત ભગવદ ગીતાની સમજ સંસ્કૃતના શિક્ષકો વધારે બહેતર રીતે આપી શકે તેમ છે.બીજી તરફ સંસ્કૃત વિષયને પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી ઘણી સ્કૂલોમાં સંસ્કૃત શિક્ષકો હોતા નથી અથવા તો ઓછા હોય છે.જેના પગલે ધો. ૯થી ૧૨ના વિદ્યાર્થીઓને ભગવદ ગીતાના પાઠ શીખવાડવા માટેનું કામ અન્ય વિષયોના શિક્ષકોના ભાગે પણ આવી શકે છે.










