![]()
Israel-US vs Iran War Effect in India : 11 દિવસથી ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયેલ યુદ્ધે ચડ્યા છે. કોરોનાની મહામારી પછી રશિયા – યુક્રેનના યુદ્ધ બાદ ફરી એકવાર વિશ્વ સામે મોંઘવારી કે મહામંદીનું જોખમ ઝળુંબી રહ્યું છે. આયાત ઉપર નિર્ભર ભારત માટે પણ આ એક જોખમ છે. વિશ્વમાં સૌથી ઝડપે વિકસી રહેલા ભારતીય અર્થતંત્રની નિકાસ કરતા આયાત વધારે છે અને આ આયાતમાં ક્રુડ ઓઈલ, નેચરલ ગેસ અને રાંધણ ગેસ સૌથી મોટી આયાત છે. ઈરાને યુદ્ધના વળતા જવાબમાં અખાતી દેશોમાં અમેરિકન થાણા ઉપર, ક્રુડ – ગેસના ઉત્પાદન ઉપર હુમલા કર્યા છે. ક્રુડ, નેચરલ ગેસ, ફર્ટીલાઈઝર ને કેમિકલ્સની ખાડીના દેશોમાંથી વિશ્વભરમાં પરિવહન માટેના મુખ્ય કેન્દ્ર હોર્મુઝની ખાડી પણ ઈરાને બંધ કરી છે. એક સાથે બેવડો માર પડતા ભારતમાં વિવિધ કેમિકલ્સ અને ગેસના પુરવઠાને અસર પડી છે. જેટલો સમય યુદ્ધ ચાલુ રહે એટલો સમય અનિશ્ચિતતા રહેશે. એટલું જ નહીં પણ યુદ્ધ બંધ થયા પછી પણ 30 થી 35 દિવસ સ્થિતિ પૂર્વવત બનતા લાગી શકે એવું વૈશ્વિક વ્યાપાર સાથે જોડાયેલા નિષ્ણાતોનું માનવું છે.
ક્રુડ ઓઈલ, નેચરલ ગેસ અને રાંધણ ગેસની સ્થિતિ સિવાય ભારતની કેમિકલ્સની આયાતને જંગી ફટકો પડે અને તેનાથી સ્થાનિક ઉત્પાદન કે પ્રોસેસિંગ અટકી પડે એવી સ્થિતિ ઉભી થઇ છે. સોડિયમ નાઈટ્રાઈટ, સલ્ફર, હાઈડ્રોજન પેરોક્સાઈડ, સોડિયમ હાઈડ્રોસલ્ફાઇડ, એમોનીયા, પોટાશ, ફોસ્ફેરિકએસિડ જેવી સંખ્યાબંધ ચીજોની આયાત અટકી પડી છે. મોટાભાગની ચીજો હોર્મુઝની ખાડીમાંથી આવે છે અથવા તો સાઉદી અરબ, આરબ અમિરાત અને આસપાસના વિસ્તારોમાંથી આવે છે.
વિશ્વમાં નેચરલ ગેસના સૌથી મોટા નિકાસકારમાંથી એક એવા કતારના ગેસ ઉત્પાદનને સંપૂર્ણ બંધ કરવા ફરજ પડી છે. વિશ્વમાં ક્રુડ ઓઈલના પરિવહનનો 20 ટકા હિસ્સો ધરાવતી હોર્મુઝની ખાડી બંધ થઇ ગઈ છે. ભારતની કુલ જરૂરિયાતના 40 ટકા ક્રુડ અને ગેસ આ ખાડીમાંથી આવે છે. એટલે અત્યારે ઉર્જાની જંગી તંગી ઉભી થઇ છે. સમગ્ર બહ્માંડમાં પોતે જ બત્રીક્ષ લક્ષણ હોવાની દ્રઢ માન્યતા ધરાવતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ભીંસાયા છે. દેશની પ્રજા ઇંધણની મોંઘવારીની બુમરાણ મચાવી રહી છે, ઈરાન ધારણા કરતા વધારે ઝનૂનથી યુદ્ધમાં ટક્કર આપી રહ્યું છે એટલે સ્વાર્થમાં દુશ્મન પણ સગો એવું સ્વીકારી અમેરિકા અત્યારે ક્રુડ ઓઈલનો પુરવઠો વધે એના માટે રશિયા ઉપર પ્રતિબંધ હટાવવા વિચારી રહ્યું છે!
ભારત વર્ષે 30 અબજ ડોલરના કેમિકલ્સની આયાત કરે છે જેમાં કુવૈત અને સાઉદી અરબ સૌથી મોટા દેશો છે. ખાતર બનાવવા માટે જરૂરી પોટાશ, સલ્ફ્યુરિક એસીડની દેશની સંપૂર્ણ જરૂરીયાત આયાત ઉપર નિર્ભર છે. આવી જ રીતે સલ્ફરની આયાત કરવામાં વિશ્વમાં ભારત અગ્રણી દેશ છે. આ કેમિકલની આયાત સાઉદી અરબ, કતાર, ઓમાન અને આરબ અમીરાતથી થાય છે. બધા દેશો ઉપર ઈરાને હુમલા કર્યા છે અને ત્યાં ઉત્પાદન ઘટે એવી શક્યતા છે. બીજું, સલ્ફર આયાત કરવાનો માર્ગ પણ હોર્મુઝની ખાડી છે જે બંધ થતા તેની સ્થાનિક જરૂરિયાતમાં મોટો ખાડો પડ્યો છે.
યુદ્ધ શરુ થયું અને ઈરાને કતાર ઉપર હુમલો કર્યો ત્યારે દેશમાં નેચરલ ગેસનો સંપૂર્ણ જથ્થો હોવાની સરકારે જાહેરાત કરી હતી. પરંતુ, સ્થિતિ વણસી જતા નેચરલ ગેસના પુરવઠો જાળવી રાખવા માટે ભારતે પગલાં લેવા પડ્યા છે. આવી જ સ્થિતિ રાંધણ ગેસ (લીક્વીફાડ પેટ્રોલીયમ ગેસ એલપીજી)માં થઇ શકે તેવી દહેશત છે. દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈના રેસ્ટોરન્ટ એસોસિએશને પુરવઠો નહીં મળે તો કિચન બંધ કરવાની જાહેરાત કરી છે.
વર્ષ 2012-13માં ભારતે કુલ 63 લાખ ટન એલપીજીની આયાત કરી હતી જે 2024-25માં વધી 206 લાખ ટન થઇ છે. ક્રુડની આયાત આ જ સમયગાળામાં 18.47 કરોડ ટનથી વધી 24.32 કરોડ ટન નોંધાઈ છે. એલપીજી આયાતમાં ભારત વિશ્વમાં બીજા ક્રમનું આયાતકાર છે અને તેની જરૂરીયાતના 60 થી 70 ટકા આયાત કરે છે. ભારતમાં એલપીજીની આયાત સાઉદી અરબ, આરબ અમિરાત, કુવૈત અને કતારથી થાય છે.
કેમિકલ્સની બજારમાં અત્યારે હાજરમાં સોદા થઇ રહ્યા છે. એક જ સપ્તાહમાં 73 જેટલી ચીજોના ભાવ 20 ટકાથી 60 ટકા વધી ગયા છે. સૌથી મોટી અસર ખાતર અને પેટ્રોકેમિકલ્સના ભાવો ઉપર જોવા મળી રહી છે. આ કેમિકલ્સનો ઉપયોગ ટેક્સટાઈલ્સ, પેઈન્ટ, પીગમેન્ટ બનાવવાથી લઇ એક્રીલીક, ફાઈબર, રેઝિન બનાવતી કંપનીઓ ઉપર થઇ રહ્યો છે. અમેરિકાના ટેરીફના કારણે ઘણા ઉત્પાદકોને ચીન અને અન્ય દેશોના ભારત કરતા નીચા ટેરીફ સામે સ્પર્ધામાં ટકી રહેવા માટે પશ્ચિમ એશીયાઇ દેશોમાં માલ વેચવો શરુ કર્યો હતો. ઉત્પાદનમાં કાચા માલના વધતા ભાવ ઉપરાંત ડિઝલ, નેપ્થાના ભાવ વધતા પ્રોસેસિંગ ખર્ચ વધી રહ્યો છે. આયાત ઉપર ઊંચા ભાવ અને ડોલર સામે નબળા રૂપિયાની પણ અસર જોવા મળી રહી છે.
નસીબજોગ ભારત પાસે અત્યારે ખાતરનો જરૂરી જથ્થો ગત વર્ષ કરતા વધારે છે. વૈશ્વિક બજારમાં યુરીયાના ભાવ એક જ મહિનામાં 475 ડોલર સામે વધી 600 ડોલર પ્રતિ ટન થઇ ગયા છે. આયાતી કાચામાલની અછત કે ઊંચા ભાવના કારણે મોટાભાગના ખાતરના એકમો અત્યારે 60 ટકા ક્ષમતાએ ઉત્પાદન કરી રહ્યા છે. સૌથી મહત્વનું છે કે રવિ પાક બજારમાં આવી રહ્યો છે અને ખરીફ પાકના વાવેતર માટે હજી ત્રણ મહિનાનો સમય છે એટલે ખાતરની સ્થિતિ અન્ય ક્ષેત્રો કરતા અત્યારે ચિંતાજનક નથી. ભારત કુલ માંગ સામે 30 ટકા યુરીયાની આયાત કરે છે અને ફોસ્ફેટિક ખાતરો માટે સલ્ફર, પોટાશ સહિતની ચીજો માટે આયાત એક મહત્વનો હિસ્સો છે.
કેટલીક મહત્વની ચીજોની આયાતને અસર










