![]()
અમેરિકા સામે 8 વર્ષ સુધી લડવા તૈયાર
ઇરાનના ક્રૂડ, ગેસ, ખાણો પર કબજો કરવા માગતા અમેરિકાને હત્યાનો અધિકાર કોણે આપ્યો ? : ડો. હકીમ
નવી દિલ્હી: અમેરિકા અને ઇઝરાયેલના સંયુક્ત હુમલામાં ઇરાનના ટોચના વડા અલી ખામેનેઇનું મોત નિપજ્યું હતું. યુદ્ધની આ સ્થિતિમાં ઇરાનને એવી આશા હતી કે તેને ચીન અને રશિયા દ્વારા મદદ પુરી પાડવામાં આવશે, જોકે તેમ ના થયું. હવે ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઇના ભારતના પ્રતિનિધિ ડો. અબ્દુલ મઝીદ હકીમે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે જો ચીન અને રશિયાએ મદદ કરી હોત તો સ્થિતિ કઇક અલગ અને વધુ સારી હોત.
ખામેનેઇના પ્રતિનિધિ હકીમે વધુમાં કહ્યું હતું કે પશ્ચિમ મીડિયા ફેક ન્યૂઝ ફેલાવી રહ્યું છે, ભારતના લોકોએ પણ અમેરિકા અને ઇઝરાયેલના આ હુમલાનો વિરોધ કર્યો છે. સાથે જ ખામેનેઇની હત્યા પર શ્રદ્ધાંજલિ અર્પી છે, દુશ્મન દેશો અમેરિકા અને ઇઝરાયેલમાં કોઇ જ માનવતા નથી, તેઓ માત્ર લોકોને મારી નાખવા અને રૂપિયા અંગે જ વિચારે છે. પરમાણુ હથિયારો અંગે જવાબ આપતા તેમણે કહ્યું હતું કે પરમાણુ હથિયારો રાખવા ઇસ્લામમાં હરામ છે, અમારી પાસે કોઇ જ પરમાણુ હથિયાર નથી. અમેરિકા ઇરાનના ક્રૂડ ઓઇલ પર કબજો કરવા માગે છે, ઇરાનના ગેસ અને ખાણો પર કબજો કરવા માગે છે.
ખામેનેઇનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યુદ્ધની સ્થિતિ વચ્ચે ખામેનેઇએ સુરક્ષાકર્મીઓને કહ્યું હતું કે જો તમે દેશના તમામ નાગરિકો માટે બંકર બનાવશો તો જ હું બંકરમાં જઇશ, ખામેનેઇએ સુરક્ષીત સ્થળે જવાની ના પાડી દીધી હતી, તેમના ચાર પુત્રો છે જેમાંથી કોઇ પાસે પોતાનુ ઘર નથી.
અમે આ લડાઇ નહોતા ઇચ્છતા પરંતુ જ્યારે કોઇ અમારી ધરતી પર હુમલો કરે ત્યારે તેની સુરક્ષા કરવાનો અમને અધિકાર છે. હજારો ઇરાની નાગરિકોને મારી નાખવામાં આવ્યા, શું અમેરિકા પાસે લોકોને મારી નાખવાનો અધિકાર છે? સાથે જ તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ નથી, જો ઇરાન તેને બંધ કરી દે તો કોઇ શિપ અવર જવર ના કરી શકે જ્યારે હાલ શિપોની અવર જવર ચાલુ છે.










