![]()
Vadodara Gas Shortage : ઈરાન-અમેરિકા અને ઇઝરાઇલ વચ્ચે એક મહિના ઉપરાંતથી ચાલતા યુદ્ધના કારણે ભારતમાં એલપીજી ગેસની અછત વર્તાઈ રહી છે. વડોદરામાં પણ કોમર્શિયલ એલપીજી ગેસ હોટલો, રેસ્ટોરન્ટો, અને ધાબા સંચાલકોને કોમર્શિયલ ગેસનો પુરવઠો માત્ર 10 આપવાની જાહેરાતથી સંચાલકોએ એકત્ર થઈને કલેકટર સમક્ષ રજૂઆત કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના 50 ટકા જથ્થો આપવા અથવા પીએનજી-પાઇપલાઈન ગેસ કનેક્શન તાત્કાલિક ધોરણે આપવા માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે મધ્ય પૂર્વના યુદ્ધના કારણે સમગ્ર દેશમાં એલપીજી અને કોમર્શિયલ ગેસની ભારે અછત સર્જાઇ હતી. પરિણામે સરકારે તાત્કાલિક ધોરણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર આપવાનું બંધ કરી દીધું હતું. પરિણામે અને રેસ્ટોરન્ટો, હોટલો અને ધાબાઓને સીધી અસર થવાના કારણે કેટલાક સંચાલકોને વેપાર ધંધા બંધ કરવાની ફરજ પડી હતી. જ્યારે કેટલાકે ગેસની અવેજીમાં કોલસા ચુલાનો ઉપયોગ શરૂ કર્યો હતો આમ છતાં પણ ધંધાને માઠી અસર થઈ હતી.
દરમિયાન તંત્ર દ્વારા 10 ટકા કોમર્શિયલ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. જેથી તમામ હોટલ, રેસ્ટોરન્ટો અને ધાબા સંચાલકોએ એકત્ર થઈ કલેકટર કચેરીએ સઘન રજૂઆત કરવા પહોંચ્યા હતા.
રજૂઆત કરતા તમામે જણાવ્યું હતું કે હાલમાં તંત્ર દ્વારા માત્ર 10 ટકા કોમર્શિયલ ગેસ સિલિન્ડરો આપવાની જાહેરાત કરી હતી. પરંતુ ખાણી પીણી સંચાલકોએ સામૂહિક રીતે જણાવ્યું હતું કે આવા નજીવા ક્વોટા પોતાના સ્ટાફની પણ રસોઈ બની શકતી નથી. તેથી તાત્કાલિક ધોરણે 50 ટકા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની માંગ કરી હતી. આ અંગે કલેક્ટર કચેરી દ્વારા જણાવ્યું હતું કે આ અંગે વિચારણા કરાશે.
જ્યારે બીજી બાજુ હોટલ ઉદ્યોગ સંચાલકોએ સામૂહિક રીતે જણાવ્યું હતું કે, જો કોમર્શિયલ ગેસ સિલિન્ડર નિયત પ્રમાણમાં ન આપી શકાય તો તમામ હોટલ ઉદ્યોગ સંચાલકોને તાત્કાલિક ધોરણે પાઇપલાઇન ગેસ કનેક્શન આપવા જણાવ્યું હતું.










