![]()
અમદાવાદ,શુક્રવાર
શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવની સાફસફાઇ માટે હોડીમાં ગયેલા ચાર યુવકો ડુબી ગયા હતા. જેમાં ત્રણ યુવકોના મોત નીપજ્યા હતા. આ બનાવ અનુસંધાનમાં મૃતકના પરિવારજનોની રજૂઆત અને સ્થળ પરના પુરાવાના અનુસંધાનમાં સરખેજ પોલીસે યુવકોના મોત માટે જવાબદાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. શહેરના શકરી તળાવમાં ગત ૨ સપ્ટેમ્બરના રોજ ચાર યુવકો હોડી લઇને સાફસફાઇ માટે ગયા હતા. ત્યારે અચાનક હોડી પલ્ટી જતા વિશાલ સોલંકી (રહે.બળિયાદેવ ડુપ્લેક્સ, સરખેજ), પ્રદીપ ચાવડા (રહે. બળિયાદેવ ડુપ્લેક્સ, સરખેજ) અને જીત પરમાર (રહે. બ્રાહ્મણ વાસ,સરખેજ) અને કેશવ ગોહિલ નામના ચાર યુવકો ડુબી ગયા હતા. જેમાં કેશવ ગોહિલ તરીને બહાર આવી ગયો હતો. જ્યારે અન્ય ત્રણ યુવકોના મોત નીપજ્યા હતા.આ બનાવનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં કેશવે બેદરકારી દાખવતા હોડી પલ્ટી ગઇ હતી. આ બનાવ અંગે સરખેજ પોલીસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે છેલ્લાં દોઢ વર્ષથી આ તળાવનું સમારકામ ચાલતું હતું. આ તળાવમાં લીલ અને સેવાળ જમા થતા તેને સાફ કરવાની કામગીરી બહેરામપુરા ગૌતમનગર સોસાયટીમાં રહેતા દિનેશ પટેલ નામના પેટા કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી હતી. પરંતુ, તેણે યુવાનોને પુરતી સુરક્ષા સાથે કામગીરી ન સોંપતા હોડી ડુબતા ત્રણેય યુવકોએ જીવ ગુમાવ્યા હતા. જે અંગે સરખેજ પોલીસ મથકે ગુનો નોંધીને પોલીસ ઇન્સ્પેક્ટર એસ એ ગોહિલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.










