![]()
Rajkot News: રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તાર અને આજી નદીના પટ્ટમાં લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો સામે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. આજે 23 ફેબ્રુઆરીથી શરૂ થયેલા મેગા ડિમોલિશનમાં વિસ્તારને 7 ભાગમાં વહેચવામાં આવ્યો હતો. દરેક ઝોનમાં વર્ગ-1ના અધિકારીની દેખરેખ હેઠળ એક્શન લેવાયા છે. જેમાં 64થી વધુ JCB, 90 ટ્રેક્ટર, 7 હિટાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
1119 જેટલી મિલકતો જમીનદોસ્ત
આજે થયેલા ડિમોલિશન અંગે વિગતો આપતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, આ ઓપરેશન હેઠળ કુલ 1500 મિલકતોને નોટિસ આપવામાં આવી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 1119 જેટલી મિલકતોનું ડિમોલિશન કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને આજી નદીના પટ્ટમાં થયેલા દબાણો દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જે અંગે વિગતો આપતા કહ્યું કે, નદીના પટ્ટમાં આવેલા 997 દબાણો પૈકી 681 બાંધકામો તોડી પડાયા છે, જ્યારે બાકીના 300 જેટલા મકાનો પર આવતીકાલ મંગળવાર બપોર સુધીમાં બુલડોઝર ફેરવી દેવામાં આવશે.
અનિચ્છનીય બનાવ બન્યો નથી
આશ્ચર્યની વાત એ છે કે, આ વિસ્તારમાં કેટલાક એસી અને હાઈફાઈ સુવિધા ધરાવતા મકાનો પણ મળી આવ્યા હતા, જેને તોડવા માટે ખૂબ જહેમત ઉઠાવવી પડી હતી. સૌથી મહત્વની બાબત એ રહી કે આટલી મોટી કામગીરી છતાં દિવસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને જંગલેશ્વરના સ્થાનિક રહીશોએ તંત્રને સંપૂર્ણ સાથ-સહકાર આપ્યો છે. મનપા અને પોલીસ દ્વારા ઘરે ઘરે જઈ લોકોને સમજાવવામાં આવ્યા હતા. મોટાભાગના દબાણ કર્તાઓએ પોતાની રીતે જાતે મકાનો ખાલી કરી આપ્યા હતા.
પાત્રતા ધરાવનારાઓને આવાસ યોજનામાં ઘર અપાશે
શહેર કોંગ્રેસ પ્રમુખ સરકારે પાસે બેઘર થયેલા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થાની માગ કરી છે. તેવામાં રાજકોટ મનપા દ્વારા વિસ્થાપિતો માટે માનવીય અભિગમ અપનાવતા જણાવવામાં આવ્યું છે કે, આવાસ યોજનામાં જગ્યા ખાલી છે જે પાત્રતા ધરાવતા લોકોને આપવામાં આવશે. વિસ્થાપિતોને પણ પોતાના ઘરનું ઘર મળી રહેશે. ડિમોલિશન પૂર્ણ થયા બાદ આજી નદીના આ કાંઠે માત્ર 7 દિવસમાં નવો રોડ તૈયાર કરવાનો રોડમેપ પણ તૈયાર કરી લેવાયો છે.
રાજકોટમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
વિસ્તારની સંવેદનશીલતાને જોતા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી કડક નિયમો લાગુ કર્યા છે. 23મી થી 25મી ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજકોટમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત 26મી ફેબ્રુઆરી સુધી શહેરમાં 4 થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ છે. 2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત પહેરો ગોઠવી દેવાયો છે. કોઈપણ પ્રકારના કાંકરીચાળા કે વિરોધના કિસ્સામાં તુરંત ધરપકડના આદેશો અપાયા છે.
આ પણ વાંચો: અમરેલી જિલ્લામાં માવઠું: ખાંભા, ધારી અને બગસરા સહિત ગીર પંથકમાં કમોસમી વરસાદ, રવિ પાકને ભારે નુકસાનની ભીતિ
કેમ અનિવાર્ય બન્યું ડિમોલિશન?
આ વિસ્તારની શેરીઓ એટલી સાંકડી છે કે કોઈ દુર્ઘટના સમયે બચાવ કાર્ય અશક્ય બને છે. ચોમાસામાં આજી નદીના પૂરના કારણે દર વર્ષે અહીં જાનમાલનું જોખમ રહે છે. આ વિસ્તાર કેટલાક તત્વોની ગુનાહિત પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ ગણાય છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી મનપાની ટીમોની હાજરીને પગલે વિસ્તારમાં ગમગીની અને આક્રોશનો માહોલ છે. અનેક પરિવારો આંસુઓ સાથે પોતાના ઘરનો સામાન ફેરવી રહ્યા છે, તો બીજી તરફ મહિલાઓ અને બાળકો દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા છે. આજે સોમવારે બુલડોઝર કાર્યવાહી દરમિયાન ઘર તૂટતું જોઈને અનેક મહિલા રડી પડી હતી, સ્થળ પર કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. આજી નદી પટની 55,000 ચો.મી. અને ટી.પી. રોડની 32,000 ચો.મી. મળી કુલ 87,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે. જે કાર્યવાહી મંગળવારે બપોર સુધીમાં પૂર્ણ થઈ જશે તેવી શક્યતાઓ છે.










