અમદાવાદ,સોમવાર
અમદાવાદમાં એટીએસ દ્વારા ઝડપાયેલા આતંકીની સાથે દિલ્હી બ્લાસ્ટ ઉપરાંતની ઘટનાઓ સામે આવતા ડીજીપીએ ૧૦૦ કલાકમાં સમગ્ર રાજ્યમાં આવેલા તમામ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં ૩૦ વર્ષ દરમિયાન રાષ્ટ્ર વિરોધી ગુનાઓમાં સંડોવાયેલા તત્વોની યાદી તૈયાર કરવા માટે સુચના આપી હતી. જે અનુસંધાનમાં સમગ્ર રાજ્યમાં બાર હજાર જેટલા ગુનેગારોના વેરીફીકેશન કરવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓના ડોઝીયરના રિપોર્ટ બાદ પોલીસ ખાસ ગાઇડલાઇનના આધારે કાર્યવાહી કરશે. તેમજ રાજ્યમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવશે.
દિલ્હીમાં આતંકી હુમલાની સાથે અમદાવાદમાં ઝડપાયેલા આતંકીના રાઇઝીન નામના પોઇઝન તૈયાર કરીને મોટાપાયે જાનહાની કરવાના ઇરાદા તેમજ અન્ય એક તબીબ આતંકી પાસેથી ત્રણ હજાર કિલો વિસ્ફટકો ઝડપાયાની ઘટના બાદ ડીજીપી વિકાસ સહાયે ૧૦૦ કલાકમાં સમગ્ર રાજ્યના તમામ પોલીસ મથકોમાં છેલ્લાં ૩૦ વર્ષ દરમિયાન રાષ્ટ્ર વિરોધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનું વેરીફિકેશન કરીને તમામ યાદી તૈયાર કરવા માટે સુચના આપી હતી. જે અનુસંધાનમાં કુલ ૩૧૮૩૪ જેટલા આરોપીઓ પૈકી ૧૧૮૮૦ જેટલા અસામાજીક તત્વો મળી આવ્યા હતા. જે તમામના ડોઝીયર તૈયાર કરાયા છે.
આ ૩૧૮૩૪ પૈકી ૨૩૨૬ આરોપીઓના અવસાન થયા છે. જ્યારે ૩૭૪૪ આરોપીઓએ સરનામા બદલ્યા છે. આ તમામ આરોપીઓના નવા સરનામા પર જઇને તપાસ કરવામાં આવશે. જ્યારે ૪૫૦૬ જેટલા આરોપીઓ ગુજરાત બહારના છે. પોલીસ બીજા તબક્કાના વેરીફિકેશનમાં જ્યાં જઇને તમામ આરોપીઓનુ વેરીફિકેશન કરવામાં આવશે. આમ, બંનેના તબક્કાના ડોઝીયરનું વેરીફિકેશન કરીને ડોઝીયર તૈયાર કરવાની સાથે એક્શન પ્લાન તૈયાર કરાશે.










