![]()
આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં રાહુલ ગાંધીએ આદિવાસી હકો અને સામાજિક અસમાનતા મુદ્દે કેન્દ્ર સરકાર અને પ્રાઈવેટ -સરકારી સંસ્થાઓ પર તીખા પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હજારો વર્ષો પહેલા તમામ જમીન આદિવાસીઓની હતી, પરંતુ સમય જતાં તેમને તેમના હકોથી વંચિત કરવામાં આવ્યા છે. વિકાસના નામે આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવી રહી છે અને જંગલો કોર્પોરેટને સોંપાઈ રહ્યા છે. અદાણીના ઉલ્લેખ સાથે તેમણ કટાક્ષ કર્યો હતો કે, મોટા ઉદ્યોગપતિઓને ફાયદો થાય તેવી નીતિઓ અમલમાં આવી રહી છે. મોટી કંપનીઓના કરોડો રૂપિયાના દેવા માફ કરવામાં આવે છે, જ્યારે એક પણ આદિવાસીનું દેવું માફ કરવામાં આવ્યું નથી. દેશનું ધન અમુક ઉદ્યોગપતિઓ વચ્ચે વહેંચાઈ રહ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે, જાતિ આધારિત જનગણનાનો હેતુ વિવિધ સંસ્થાઓ અને કોર્પોરેટ ક્ષેત્રમાં આદિવાસીઓની હિસ્સેદારી જાણી શકાય તે છે. સિનિયર મેનેજમેન્ટમાં એક પણ આદિવાસી નથી.આદિવાસી સમાજને પાવર અને આર્થિક હક મળે તે માટે કોંગ્રેસ લડત ચાલુ રાખશે. જ્યાં સુધી દરેક સેક્ટરમાં આદિવાસીઓની ભાગીદારી નહીં વધે, ત્યાં સુધી તેમને યોગ્ય લાભ નહીં મળે, તેવું જણાવ્યું હતું.
શિક્ષણ અને પ્રાઈવેટાઈઝેશન પર ચિંતા
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાં વધતા પ્રાઇવેટાઇઝેશન અંગે ચિંતા વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સ્કૂલ-કોલેજ ખાનગી બનતા આદિવાસી યુવાનો માટે શિક્ષણ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદ પર યોગ્ય શિક્ષણ જ્ઞાન વગરના આરએસએસના લોકોની નિમણૂક થઈ રહી છે.
વનવાસી શબ્દથી આદિવાસી હકો નબળા પાડયા
રાહુલ ગાંધીએ આરએસએસ અને બીજેપી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આદિવાસીઓને વનવાસી કહી તેમની જમીનના હકો નબળા પાડવાનો પ્રયાસ થયો છે. આદિવાસીઓની જમીન છીનવી તેમની ઓળખ અને વિચારધારા પર હુમલો થયો છે. બિરસામુંડાજીની પ્રતિમાઓ સામે હાથ જોડે છે, પરંતુ આદિવાસીઓને વાસ્તવિક સત્તા અને આર્થિક હિસ્સો આપવા મામલે મૌન રાખે છે.
કાર રોકાવી યુગનું પેઇન્ટિંગ સ્વીકાર્યું
આદિવાસી અધિકાર સંમેલનમાં રાહુલ ગાંધીને મળવા ૬વર્ષનો યુગ તિવારી પિતા અમિત તિવારી સાથે પહોંચ્યો હતો. ગોત્રીનો યુગ ધોરણ ૧માં ભણે છે અને પોતાના હાથે બનાવેલું રાહુલ ગાંધીનું પોટ્રેટ ભેટ આપવા આવ્યો હતો. તેણે રાહુલ ગાંધીને જનનાયક કહી આગામી વડાપ્રધાન બનવાની આશા વ્યક્ત કરી, યુગે મોંઘવારી ઘટાડવાની આશા પણ વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ કાર રોકાવી પેઇન્ટિંગ સ્વીકારી, યુગ સાથે હાથ મિલાવ્યો અને ચોકલેટ આપી હતી.
એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું
રાહુલ ગાંધી હરણી એરપોર્ટ પહોંચતા કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. રાહુલ ગાંધી જિંદાબાદના નારા સાથે એરપોર્ટ ગુંજી ઉઠયું હતું. અહીંથી તેઓ આજવા રોડ પંડિત દિનદયાળ હોલ ખાતે યોજાનાર સંમેલનમાં જવા રવાના થયા હતા. અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ સહિતને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
બીજેપીનું ફાઇનાન્સ સ્ટ્રક્ચર અદાણી
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને બીજેપી પર નિશાન સાધી કહ્યું હતું કે, મોદી સરકારનું ફાઈનાન્સ સ્ટ્રક્ચર અદાણી છે, વિકાસના નામે જંગલો તથા સંસાધનો કોર્પોરેટને સોંપવામાં આવી રહ્યા છે. અગાઉ રિઝર્વેશનથી મળતા લાભોને હવે પ્રાઈવેટાઈઝેશનથી ગણતરીના લોકોને જ ફાયદો થઈ રહ્યો છે. ખાનગી હોસ્પિટલો સહિતના ક્ષેત્રોમાં આદિવાસીઓની ભાગીદારી ન હોવાની પણ તેમણે ટીકા કરી હતી.








