![]()
Rahul Gandhi UK Citizenship: ભાજપના નેતા વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી પાસે બ્રિટનની નાગરિકતા છે. આવી સ્થિતિમાં તેમની ભારતીય નાગરિકતા રદ કરવી જોઈએ. ઈડીએ પણ આ મામલે માહિતી એકઠી કરવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય એજન્સીએ અરજદાર વિગ્નેશ શિશિરને સમન્સ પાઠવ્યા છે. તેણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ પોતાનો વ્યવસાય ચલાવવા માટે યુકેની નાગરિકતા લીધી હતી.
જાણો શું છે મામલો
અહેવાલ અનુસાર,, એજન્સીએ દાવા વિશે વિગતવાર માહિતી મેળવવા માટે વિગ્નેશ શિશિરને સમન્સ પાઠવ્યું છે. ઈડી જાણવા માંગે છે કે રાહુલ ગાંધીનું કઈ વિદેશી કંપની કે વિદેશી બેન્ક ખાતું છે. વિગ્નેશ શિશિરે દાવો કર્યો છે કે, મને EDનું સમન્સ મળ્યું છે અને નવમી સપ્ટેમ્બરે હાજર થઈને દાવા સંબંધિત માહિતી પૂરી પાડવાની છે.
ઈડી જાણવા માંગે છે કે શું ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)નું કોઈ ઉલ્લંઘન થયું છે. આ ઉપરાંત ઈડી વિદેશી બેન્કોમાંથી થયેલા વ્યવહારો અથવા આવક વિશે પણ જાણવા માંગે છે. છેલ્લી સુનાવણી દરમિયાન વિગ્નેશે હાઇકોર્ટને જણાવ્યું હતું કે યુકે સરકારે રાહુલ ગાંધીની નાગરિકતા વિશેની માહિતી કેન્દ્ર સરકાર સાથે શેર કરી છે.’
આ પણ વાંચો: ડૂબતા પંજાબમાં 2,000 ગામ જળબંબાકાર, હિમાચલ પ્રદેશમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે તારાજી
વિગ્નેશ શિશિરે કહ્યું કે, ‘જુલાઈમાં એક સમીક્ષા અરજીની સુનાવણી દરમિયાન મે રાહુલ ગાંધીને લંડન, વિયેતનામ અને ઉઝબેકિસ્તાનથી મળેલા દસ્તાવેજો વિશે માહિતી આપી હતી.’ અગાઉ કોર્ટે કેન્દ્ર સરકારને રાહુલ ગાંધીની કથિત નાગરિકતા અંગે યુકે સરકાર પાસેથી માહિતી એકત્રિત કરવા અને અરજદારને સુરક્ષા પૂરી પાડવા જણાવ્યું હતું.
‘ભારતમાં બેવડી નાગરિકતાને મંજૂરી નથી’
ભાજપના નેતા વિગ્નેશ શિશિરે પીઆઈએલમાં દાવો કર્યો હતો કે, બ્રિટિશ સરકારના ઈમેલ અને દસ્તાવેજો દર્શાવે છે કે તેમને ત્યાંની નાગરિકતા મળી છે. ભારતમાં બેવડી નાગરિકતાને મંજૂરી નથી, તેથી રાહુલ ગાંધીને ભારતમાં મતદાન કરવાનો અધિકાર ન હોવો જોઈએ. તેમને ચૂંટણી લડવાનો પણ અધિકાર ન મળવો જોઈએ.










