![]()
ગાંધીનગર નજીક અડાલજ ચાંદખેડા માર્ગ ઉપર
દંપતી અમદાવાદમાં સંબંધીની ખબર જોઈને પરત જઈ રહ્યું હતું તે દરમિયાન અકસ્માતની ઘટના
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક અડાલજ માર્ગ ઉપર પૂરઝડપે જઈ રહેલી
રિક્ષા રોડ સાઈડમાં ઉતર્યા બાદ ડમ્પર સાથે અથડાતા તેમાં સવાર મુસાફરોને ઇજાઓ
પહોંચી હતી. જે પૈકી એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ત્રણ મુસાફરો ઘાયલ થયા હતા.
આ ઘટના સંદર્ભે પોલીસે રિક્ષાના ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે ઘણી વખત ચાલકોની બેદરકારીને કારણે પણ અકસ્માતો સર્જાતા હોય છે
ત્યારે શહેર નજીક અડાલજ પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં રિક્ષામાં સવાર આધેડનું
મોત થયું હતું. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે બનાસકાંઠા
જિલ્લાના થરા ગામમાં રહેતા જશીબેન જયંતીભાઈ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી
હતી કે, તે અને
તેમના પતિ જયંતીભાઈ ભાવાભાઈ પરમાર ગત મંગળવારના રોજ અમદાવાદ સાબરમતી ખાતે તેમના
સંબંધની ખબર જોવા માટે આવ્યા હતા અને ત્યાં બે દિવસ રોકાયા બાદ શુક્રવારે તે
ચાંદખેડા ખાતે તેમના અન્ય સંબંધીના ઘરે ગયા હતા અને ત્યાંથી રિક્ષામાં અડાલજ જવા
માટે બેઠા હતા. આ રિક્ષામાં અન્ય મુસાફરો પણ હતા અને રીક્ષા ઝુંડાલથી અડાલજ તરફ જઈ
રહી હતી તે દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડ સાઈડમાં ઉતરી ગઈ હતી
અને ટેન્કર સાથે અથડાઈ હતી. જે અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા
હતા. ગંભીર ઇજાઓને કારણે તેમના પતિનું સ્થળ ઉપર જ મોત થયું હતું જ્યારે અન્ય
ઘાયલોને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે હાલ પોલીસે
રીક્ષા ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.










