![]()
Vadodara : ઉનાળુ વેકેશન દરમિયાન રોજંદારી દોડતી ટ્રેનો હોય કે વેકેશન માટે ખાસ દોડાવવામાં આવતી ટ્રેનોમાં રિઝર્વેશન મળી જાય છે ત્યારે ટ્રેનમાં બેઠા પછી રેલવે સ્ટેશનનો જેમ પસાર થાય છે ત્યારે રિઝર્વેશનના ડબ્બાઓમાં રિઝર્વેશન નહીં મેળવનારા મુસાફરો વચ્ચેથી ચડી જાય છે. જેથી રેલવે વિભાગ તેઓ પાસેથી રૂ.2 થી 3,000નો દંડ વસૂલ કરી સંતોષ માને છે. પરંતુ તેને કારણે રિઝર્વેશન મેળવનારા મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને દંડ ભર્યા પછી તે મુસાફરો રિઝર્વેશન મેળવનારા મુસાફરોને યેન કેન પ્રકારેણ હેરાન કરતા હોય છે. છતાં રેલવેના અધિકારીઓ તેઓ સામે કોઈ કાર્યવાહી કરતા નથી. જેથી મુસાફરોમાં અવારનવાર ઉગ્ર બોલાચાલી અને મારા મારીના દ્રશ્યો સર્જાતા હોય છે.
દિવાળી વેકેશન હોય કે ઉનાળુ વેકેશન આજકાલ દરેક ટ્રેનમાં લાંબુ વેઈટીગ ચાલતું હોય છે અને કેટલીક ટ્રેનોમાં “નોરૂમ” નો મેસેજ આવી જતો હોય છે. ત્યારે હવે દરેક ટ્રેનમાં સેકન્ડ સ્લીપર કોચમાં મુસાફરી કરતા મધ્યમ વર્ગ તેમજ લોઅર ઈનકમ ધરાવતા પેસેન્જર બે મહિના પહેલા રિઝર્વેશન કરાવે છે. છતાં પણ જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર આવે છે ત્યારે મુસાફરોને તેમની બુકીગ કરેલી સીટ પર જતા લોઢાના ચણા ચાવવા પડે તેટલી મુશ્કેલી પડે છે
આ અંગે શહેરના જાગૃત મુસાફર હસમુખ પાઠકે જણાવ્યું છે કે મોટા ભાગની ઉતર પ્રદેશ બિહાર ઝારખંડ અને મધ્ય પ્રદેશ જતી આવતી ટ્રેનોમાં જનરલ ટિકિટ મેળવીને સેકન્ડ સ્લીપર કોચમાં મુસાફરી કરે છે. અને જ્યારે ટિકિટ ચેકર આવે છે ત્યારે ટિકિટ ચેકર આ બધાને સામાન્ય દંડની પાવતી બનાવી આપે છે. હવે દંડની પાવતી બન્યા બાદ આ લોકો ગમે તેની સીટ પર અડ્ડો જમાવીને બેસી જાય છે અને સુઈ પણ જાય છે અને જે મુસાફરો બે મહિના પહેલા રિઝર્વેશન કરાવે છે તેઓને હેરાન થવાનો સમય આવે છે.
જનરલ કોચમાં જગ્યાના મળે ત્યારે આઠથી દશ બાર સ્લીપર કોચને જનરલ કોચ જેવી જ હાલત બનાવી દે છે. જેના કારણે પેસેન્જરને વોશરૂમ જવા માટે પણ જગ્યા હોતી નથી અને આવા કોચમાં પછી મુસાફરી પુરી થાય ત્યાં સુધી ટિકિટ ચેકર ફરકતાં નથી.
તાજેતરમાં ગયા જતી હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં આવી જ હાલત ઊભી થઈ ત્યારે ટિકિટ ચેકરને ફરિયાદ કરી તો ફરજ પરના ટિકિટ ચેકરે જવાબ આપ્યો હતો કે આ ટ્રેન મજુરોની છે અમે ફક્ત દંડની પાવતી બનાવી આપીએ પણ જનરલ કોચમાં જવાની સલાહના આપીએ
વસ્તી વધારો થયો છે ત્યારે દરેક ટ્રેનમાં જનરલ કોચ વધારાની જરૂર છે. ભલે સરકાર મેટ્રો રેલ કે બુલેટ ટ્રેન દોડાવાશે પણ સામાન્ય જનતા માત્ર મુસાફરી દરમિયાન બેસવાની જગ્યા મળે કે લાંબા અંતરની મુસાફરીમાં સુવા માટે જગ્યા ઉપલબ્ધ થાય તેવો રેલ્વે દ્વારા સુધારો કરવાની જરૂર છે. બાકી કરોડો રૂપિયાનો ધૂમાડો કરીને બુલેટ ટ્રેન દોડાવાશે પણ એ બુલેટ ટ્રેનમાં સામાન્ય કુટુંબના સભ્યો માટે એક દિવા સ્વપ્ન જેવું હશે.










