![]()
દેશવ્યાપી કૌંભાડમાં ઇન્કમટેક્સ, જીએસટી, ઇડી ઝુંકાવે તેવી શક્યતા
એક ખાનગી બેંકનાં કર્મચારીઓ પણ પોલીસ તપાસનાં દાયરા હેઠળ આવ્યા
રાજકોટ: ૪૬ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ, ગેમીંગ અને જીએસટીના મળી રૂા.૧૫૦૦ કરોડનાં ટ્રાન્ઝેક્શનનાં દેશવ્યાપી કૌભાંડની તપાસમાં ટુંક સમયમાં ઇન્કમટેક્સ, જીએસટી અને ઇડી ઝુંકાવે તેવા નિર્દેશો મળી રહ્યા છે.
રૂા.૧૫૦૦ કરોડનાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનમાં રૂા.૨૩.૬૦ કરોડ સાયબર ફ્રોડનાં હોવાનું સ્પષ્ટ થઇ ગયું છે. બાકીના ટ્રાન્ઝેક્શનમાં ગેમીંગના અને જીએસટીની કેટલી રકમ છે તેની હાલ સીએ દ્વારા તપાસ થઇ રહી છે.
રાજકોટ રેન્જની સાયબર ક્રાઇમ પોલીસને તપાસ કરતા એવી ચોંકાવનારી માહિતી મળી છે કે રૂા.૧૫૦૦ કરોડ જુદા-જુદા ૪૬ બેંક ખાતામાં જમા થયા હતા. આ રકમ જેમ જમા થતી હતી તે સાથે જ ૧૫ મિનિટથી લઇ ૨ કલાકના ગાળામાં ઉપાડી લેવાતી હતી.
આ સ્થિતિમાં હવે એક ખાનગી બેંકનાં કર્મચારીઓ શંકાના દાયરામાં આવી ગયા છે. જેની ભૂમિકા અંગે તપાસ થઇ રહી છે. આ જ બેંકમાં મુખ્યત્વે તમામ ટ્રાન્ઝેક્શન થયા છે. તપાસ સાથે સંકળાયેલા સુત્રોએ જણાવ્યું કે, આ બેંકમાં કરન્ટ એકાઉન્ટ ખુબ જ આસાનીથી ખુલી જાય છે. વળી ગ્રાહકોને કોઇપણ ટ્રાન્ઝેક્શન માટે હોમ બ્રાન્ચમાં જવાની જરૂર પડતી નથી. બેંકની કોઇપણ બ્રાન્ચમાંથી ઓપરેટ કરી શકાતું હોવાથી ગઠિયાઓએ આ બેંકને પસંદ કરી હતી.
તમામ ટ્રાન્ઝેક્શનમાં ૨૪૬ એન્ટ્રીઓ અંગે સીએ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સુત્રોએ જણાવ્યું કે, એટલાં બધાં ટ્રાન્ઝેક્શન છે કે તેની તપાસમાં ઓછામાં ઓછા છ મહિના જેવો સમય લાગશે. સીએના રિપોર્ટ બાદ અન્ય સંબંધિત સરકારી તંત્રોને જાણ કરાશે. જેના પરથી બીજી એજન્સીઓ પણ આ તોસ્તાન કૌંભાડની તપાસમાં ઝુકાવે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે આ કૌંભાડ અંગે પડધરી પોલીસમાં ગુનો દાખલ થયો હતો. જેના આધારે અત્યાર સુધીમાં ૧૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.








