![]()
– યૂટીએસ એપમાંથી 20 કિ.મી.નો નિયમ હટાવાયો
– રેલવે સ્ટેશનો પર એટીવીએમની સુવિધા, લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં
ભાવનગર : ભાવનગર મંડળમાં જનરલ ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ સરળ અને ટેકનોક્રેટ બનાવી દેવામાં આવી છે. રેલ યાત્રિકો પોતાના ઘરેથી પણ ટિકિટ બુકિંગ કરાવી શકશે. આ ઉપરાંત રેલવે સ્ટેશન પર મુકવામાં આવેલા એટીવીએમમાંથી પણ ટિકિટ મેળવી શકાશે.
આ અંગે ભાવનગર રેલવેના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે વિગત આપતા જણાવ્યું હતું કે, રેલવેએ યાત્રિકોને યૂટીએસ મોબાઈલ એપ અને એટીવીએમની સુવિધા ઉપબલ્ધ કરાવાઈ છે. યૂટીએસ એપથી યાત્રિક ઘેર બેઠા જ ટિકિટ બુક કરી શકે છે. અગાઉ ટિકિટ બુક કરવા ૨૦ કિ.મી. અંતરની બાધ્યતા હતા. તેને રેલવેએ હટાવી દેતા હવે કોઈપણ સ્થળેથી અનારક્ષિત (જનરલ) ટિકિટ બુક કરાવી શકાય છે. યુટીએસ એપથી યાત્રા ટિકિટ, સિઝન ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ મેળવી શકાય છે. પૈસાની ચૂકવણી યુપીઆઈ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અને આર-વોલેટથી થઈ શકશે. રેલવે સ્ટેશન પર એટીવીએમ મુકવામાં આવ્યા છે. જેના થકી પણ યાત્રા, સિઝન અને પ્લેટફોર્મ ટિકિટ લઈ શકાય છે. ચૂકવણી માટે યુપીઆઈ ક્યુઆર કોડ અને રેલવે સ્માર્ટક કાર્ડની સુવિધા ઉપલબ્ધ છે. આ બન્ને સુવિધાથી મુસાફરોને ટિકિટ બારીની લાંબા લાઈનોમાંથી મુક્તિ મળશે તેમ ઉમેર્યું હતું.










