![]()
Chhota Udepur News : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આગામી 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન થવાનું છે. આ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વરના 4 ફળીયાનો રસ્તો ન બનતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. જેમાં વન વિભાગ પંચાયત માર્ગ મકાન વિભાગને રસ્તો બનાવવા માટે મંજૂરી ન આપતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે સ્થાનિકો એકઠા થઈને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં ખળબળાટ મચી જવા પામ્યો છે.
છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે તેલીબારી, ઉત્તરદળા પાદર, વાકવી આમ ચાર ફળીયાના રસ્તા બનાવવા માટે મંજૂરી આપી છે. જેમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ત્રણ એજન્સીઓને કામના વર્ક ઓર્ડર આપ્યા છે.
પરંતુ છેલ્લા 8 મહિનાથી વધુ સમય થયો છતાં વન વિભાગ દ્વારા 6 કિલોમીટરનો રસ્તો બનાવવા માટે મંજૂરી ન આપતા ગ્રામજનો વારંવાર રજૂઆત કરી રહ્યા છે. જો કે, અધિકારીઓ પ્રજાની રજૂઆત ન સાંભળતા રસ્તાની સુવિધા વિના આદિવાસી સમાજના લોકો પરેશાની ભોગવી રહ્યા છે. સમગ્ર મામલે ગ્રામજનો ભેગા થઈને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચો: છોટા ઉદેપુર: કવાંટમાં આદર્શ આચાર સંહિતાના ધજાગરા, તંત્રની રહેમનજર હેઠળ રાજકીય બેનરો યથાવત્!
સ્થાનિકોનું કહેવું છે કે, વહીવટ તંત્રના અધિકારીઓ પ્રજાના પ્રશ્નો નિકાલ કરતા નથી. સરકારે 15 કરોડ રૂપિયા રસ્તો બનાવવા માટે મંજૂર કર્યા, પરંતુ રસ્તો બનાવવા માટે વન વિભાગ મંજૂરી આપી રહી નથી. જંગલોમાં રહેતા આદિવાસી સમાજના લોકોને પાણી, રસ્તા સહિતની સુવિધા આપવાની ફરજ સરકારની છે. ધારાસભ્ય આ પ્રશ્નોનો નિકાલ કરવા માટે કોઈ કાર્યવાહી ન કરતા પ્રજાએ પોતાના મતનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આમ, ‘સુવિધા નહીં તો વોટ નહીં’ તેવું હાલ તો આ ચાર ફળીયાના લોકોએ મન બનાવ્યું છે.










