અમદાવાદ, શનિવાર
બહેરામપુરાની મહિલાને વિસ્તારના યુવક સાથે પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હતું કારણ કે લગ્નના છ મહિનામાં જ મહિલાને તરછોડી મૂકી હતી. જેમાં લગ્ન કરીને આવી તો પતિ સાથે ઘરમાં રહેવાની સગવડ ન હોવાથી ત્રણ મહિના તો પિયરમાં રહી હતી એટલું જ નહી છ મહિનામાં ભાડાના ત્રણ મકાન બદલ્યા હતા અને સાસરિયા સમાધાન માટે માતાજીના મંદિરે લઇ ગયા બાદમાં ત્યાં તકરાર કરીને મારઝૂડ કરીને છોડીને જતા રહ્યા હતા. દાણીલીમડા પોલીસે પતિ સહિત સાસરીના પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લગ્ન બાદ પતિ સાથે ઘરમાં રહેવાની સગવડ ના હોવાથી ત્રણ મહિના પિયરમાં રહી છ મહિનામાં ત્રણ મકાન બદલ્યા ઃ દાણીલીમડા પોલીસે પતિ સહિત પાંચ સામે ગુનો નોંધ્યો
બહેરામપુરામાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી મહિલાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બહેરામપુરામાં રહેતા પતિ સહિત સાસરીના પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાએ જાન્યુંઆરી માસમાં સમાજના સભ્યોની જાણ બહાર પ્રેમલગ્ન કર્યા હતા બાદમાં પતિ સાથે ઘરમાં રહેવાની સગવડ ના હોવાથી ત્રણ મહિના પિયરમાં રહ્યા બાદ સાસરીમાં રહેવા આવી હતી ત્યારબાદ ભાડાના ત્રણ મકાન બદલ્યા હતા.
છ મહિનાના લગ્ન સમયમાં પતિ અને સાસરીયા દ્વારા થોડા સમય માટે સારી રીતે રાખવામાં આવી હતી બાદમાં નાની નાની બાબતે તકરાર કરીને પતિ મારઝૂડ કરતો હતો. ગયા મહિને મહિલાની તબિયત સારી ન હોવાથી જેઠાણીની બર્થડેની ઉજવણીમાં જવાની ના પાડતાં પતિ તકરાર કરીને મારઝૂડ કરીને અચાનક ઘરેથી જતો રહ્યો હતો અને બે દિવસ પછી આવ્યો હતો બાદમાં તાજેતરમાં સાસરીના સભ્યો સમાધાન માટે માતાજીના મંદિેરે લઇ ગયા હતા અને ત્યાં તકરાર કરીને મારઝૂડ કરીને મહિલાને છોડીને જતા રહ્યા હતા. આ ઘટના અંગે દાણીલીમડા પોલીસે પતિ, સાસુ સહિત પરિવારના પાંચ સભ્યો સામે માનસિક શારિરીક ત્રાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










