![]()
ગાંધીનગર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર
હિંમતનગરથી ટ્રક મોરબી જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માતની ઘટના ઃ ડભોડા પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર લવારપુર બ્રિજ
પાસે બુધવારની મોડી રાત્રે આગળ જઈ રહેલી ટ્રકની પાછળ ટ્રક ઘુસી જતા તેમાં સવાર
ક્લીનરનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું હતું. જ્યારે ઘાયલ ડ્રાઇવરને સારવાર માટે
સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જે સંદર્ભે ડભોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં
આવ્યો છે.
ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે ચિલોડા નરોડા હાઇવે ઉપર વધુ એક અકસ્માતમાં ટ્રકના ક્લીનરનું મોત
થયું છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મોરબી ખાતે આવેલી
રવિરાજ રોડવેજ ટ્રાન્સપોર્ટનો ટ્રક લઈને તેનો ડ્રાઇવર અનિલ જામસીંહ મુવેલ અને
ક્લીનર બહાદુર ભોલ્યા ભવર ટ્રકમાં ટાઇલ્સ ભરીને સુરત ખાતે ગયા હતા અને ત્યાંથી
હિંમતનગર ખાતે ટાઇલ્સ ખાલી કર્યા હતા. જ્યાંથી તેઓ બુધવારની મોડી રાત્રે ચિલોડા
હિંમતનગર હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન લવારપુર બ્રિજ પાસે આગળ જઈ
રહેલી ટ્રકની પાછળ ડ્રાઇવરએ ટ્રક ઘુસાડી દીધો હતો. જેના કારણે ગંભીર અકસ્માત
સર્જાયો હતો. જે અકસ્માતમાં શરીરે ગંભીર ઇજાઓને કારણે ક્લીનર બહાદુરનું મોત થયું
હતું જ્યારે ડ્રાઇવર અનિલ મુવેલને ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે
સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો અકસ્માતની આ ઘટના
અંગે ટ્રાન્સપોર્ટના માલિક દેવશીભાઈ બિજલભાઈ વેરાણાની ફરિયાદના આધારે ડભોડા પોલીસ
દ્વારા ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.










