![]()
Jamnagar Theft Case : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેમાણા ગામમાં એકી સાથે ત્રણ બંધ રહેણાંક મકાનોને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધા હતા, અને અંદરથી આશરે પોણા બે લાખની માલમતાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં પોલીસ તંત્ર દોડતું થયું છે.
ચોરીના આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મેમાણા ગામમાં રહેતા અને હાલ એસ.બી.આઈ. માં ગાર્ડ તરીકે નોકરી કરતા નિવૃત્ત આર્મીમેન રાજેન્દ્રસિંહ તખુભા જાડેજાએ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે પોતે પોતાના મકાનને તાળું મારીને માતાના મઢે દર્શન કરવા ગયા હતા, તે દરમિયાન તેઓના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદર પ્રવેશ કરી લઈ તિજોરીમાંથી રૂપિયા 35 હજારની રોકડ રકમ અને રૂપિયા 80 હજારની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી લઈ ગયા હતા.
આ ઉપરાંત તેઓના પાડોશમાં જ રહેતા સુખદેવસિંહ કાળુભા જાડેજા કે જેઓ પણ પોતાનું મકાન બંધ રાખીને બહારગામ ગયા હતા, દરમિયાન તેઓના મકાનમાંથી રૂપિયા 35000 ની રોકડ રકમની ચોરી કરી ગયા હતા. જ્યારે પાડોશમાં રહેતા પુષ્પરાજસિંહ દિલીપસિંહ જાડેજા કે જેના મકાનમાંથી પણ તસ્કરો ચાંદીના આભૂષણો જેમાં ચાંદીનું નાળિયેર, ચાંદીની સોપારી ચાંદીના સાંકળા વગેરે 150 ગ્રામ વજનના ચાંદીના ઘરેણા તેમજ સોનાની ત્રણ ગ્રામની વીંટી વગેરેની ચોરી કરી લઈ ગયા હતા. ઉપરોક્ત ત્રણેય મકાનોમાંથી તસ્કરો ચોરી કરી લઈ ગયાનો પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે જે ફરિયાદના અનુસંધાને લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.પી.જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.










