![]()
Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલ નવાગામ સીમ વિસ્તારમાં એક બેટરી પ્લાન્ટ ખાતે ગંભીર ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક શ્રમિક યુવાનનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે.
મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમા જાહેર કરાયા અનુસાર ગઈકાલ તા.10 એપ્રિલ 2026ના રોજ સવારે અંદાજે 9.45 વાગ્યાના સમયે આ બનાવ બન્યો હતો. પોલીસ તપાસ મુજબ, મરણ જનાર અશોકકુમાર અમોલાકસિંહ (ઉ.વ.31 વર્ષ, રહે. હાલ મોટીખાવડી, જામનગર) અને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી, રોજિંદા મજૂરી કામ માટે સ્થળ પર હાજર હતા. જે દરમિયાન બુમલિફ્ટ-મેનલિફ્ટ પાસે ઉભા હોય ત્યારે અચાનક ક્રેઇનનું હૂક તૂટી નીચે પડ્યું હતું.
આ દુર્ઘટનામાં હૂક માથા ઉપર પડતાં તેમને માથા, પગ તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પરિણામે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મેઘપર પડાણા પોલીસ સ્ટેશન પોલીસ વધુ તપાસ ચલાવી રહ્યા છે.










