Mumbai Lalbaugcha Raja: મુંબઈમાં લાલબાગથી વિસર્જન માટે નીકળેલા ‘લાલબાગચા રાજા’નું 30 કલાકથી પણ વધુ સમય થયો હોવા છતાં હજુ વિસર્જન થયુ નથી. ભક્તો ચિંતામય બન્યા છે. લાલબાગચા રાજાની મૂર્તિ સવારના 8 વાગ્યાથી ગિરગાંવ ચોપાટીમાં છે. વિસર્જન કરવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા હોવા છતાં મૂર્તિનું વિસર્જન થઈ રહ્યુ નથી. શરૂઆતમાં લાલબાગચા રાજાની મૂર્તિ ઉઠાવીને એક બેડા પર મૂકવાનો પ્રયાસ થયો હતો. પરંતુ દરિયામાં અચાનક જળ સ્તર વધી જતાં હાઈએલર્ટ આપવામાં આવ્યુ હતું. જેથી મૂર્તિનું વિસર્જન થઈ રહ્યુ નથી.
આજે સવારે 8 વાગ્યે હવામાન વિભાગે હાઈટાઈડનું એલર્ટ આપવામાં આવ્યું હતું. દરિયામાં હાઈટાઈડનું એલર્ટ એટલે કે દરિયામાં સામાન્ય ભરતી (tide) કરતા વધુ ઊંચી ભરતી આવવાની સંભાવના છે. આ એલર્ટ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારો માટે ચેતવણીરૂપ હોય છે. થોડી જ વારમાં ચંદ્રગ્રહણ શરૂ થવાનું છે. જેથી દરિયામાં ભયાવહ ભરતી આવવાનું હાઈટાઈડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભક્તો ચંદ્રગ્રહણ પહેલાં બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવા માગે છે. પરંતુ સફળતા મળી રહી નથી. ઘણા ભક્તોની આંખોમાં આંસુનો ધોધ વહી રહ્યો છે.
સવારે 8 વાગ્યે ગિરગાંવ ચોપાટી પહોંચ્યા હતા લાલબાગચા રાજા
લાલબાગચા રાજા આજે સવારે આશરે 8 વાગ્યે ગિરગાંવ ચોપાટી પહોંચ્યા હતાં. ગિરગાંવ ચોપાટી પર અંતિમ આરતી કર્યા બાદ મૂર્તિ વિસર્જનની તૈયારીઓ થઈ રહી હતી. વિસર્જન માટે લાલબાગચા રાજા ગણપતિ મંડળના કાર્યકરોએ અથાગ પરિશ્રમ કર્યો હતો. ભગવાનની મૂર્તિને રાફ્ટમાં સ્થાપિત કરવા લગભગ બેથી અઢી કલાક સુધી પ્રયાસ કર્યો, પણ રાફ્ટની ઊંચાઈ વધુ હોવાથી મૂર્તિ રાફ્ટ પર સ્થાપિત થઈ શકી નહીં.દરિયામાં જળસ્તર વધ્યું
એક તરફ મંડળ તરફથી કાર્યકરોની મૂર્તિ રાફ્ટમાં સ્થાપિત કરવા પ્રયાસ થઈ રહ્યો હતો. બીજી તરફ દરિયાનું જળસ્તર સતત વધી રહ્યું હતું. એક સમયે તો લાલબાગચા રાજાની મૂર્તિ કમર સુધી પાણીમાં ઉભી કરાઈ હતી. પણ વિસર્જન થઈ શક્યુ નહીં. અત્યારસુધીમાં આ પ્રકારની સ્થિતિ પહેલી વાર સર્જાઈ છે. જેનાથી ભક્તો ભાવુક થયા છે.
પાણી ઉતર્યા બાદ થશે વિસર્જન
ભક્તો બાપ્પાની ક્ષમાયાચના કરી રહ્યા છે. પરંતુ દરિયામાં હાઈટાઈડનું એલર્ટ છે. જળસ્તર પણ સતત વધી રહ્યું છે. જેથી લાલબાગચા રાજા સર્વજનમ મંડળે નિર્ણય લીધો છે કે, તેઓ પાણી ઉતર્યા બાદ જ મૂર્તિનું વિસર્જન કરશે.











