![]()
– અમદાવાદ-રાજકોટ હાઇવે પર અકસ્માત
– ધંધુકાના બાજરડા ગામના શખ્સો રળોલ ગામે લૌકિકે આવ્યા હતા : અકસ્માત સર્જી આરોપી ચાલક બસ મુકી નાસી છૂટયો
સુરેન્દ્રનગર : લીંબડીના રળોલ ગામના પાટિયા પાસે ખાનગી લક્ઝરી બસની ટક્કરે બાઈક સવાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી તાલુકાના રળોલ ગામના પાટિયા પાસે બુધવારે વહેલી સવારે પૂરપાટ ઝડપે જઈ રહેલ ખાનગી લકઝરી બસના ચાલકે ધંધુકા તાલુકાના બાજરડા ગામના બાઈકને અડફેટે લેતાં ચાલક અકબરભાઈ યાકુબભાઈ ઉમડીયાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત અબ્બાસભાઈ અભરામભાઈને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
પ્રાથમિક તપાસમાં બંને વ્યક્તિ રળોલ ગામે લૌકિક ક્રિયા માટે આવ્યા હત્યા જ્યાં તેમને અકસ્માત નડયો હતો. અકસ્માત બાદ ખાનગી ટ્રાવેલ્સનો ચાલક પોતાનું વાહન મૂકી ઘટના સ્થળેથી નાસી છૂટયો હતો. આ બનાવને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માતના બનાવ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો હોસ્પિટલ તેમજ બનાવ સ્થળે આવી પહોચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ નાસી છૂટેલા ખાનગી બસના ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.










