![]()
Vadodara Water Shortage : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ભર ચોમાસે પીવાના પાણીનો પ્રશ્ન ઉભો થયો છે, વિતરણ વ્યવસ્થામાં ખામી રહેવાના કારણે આ સમસ્યા ઊભી થઈ છે. કોંગ્રેસના ઓબીસી ડિપાર્ટમેન્ટના મહિલા ચેરમેન દ્વારા આ અંગે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે કારેલીબાગ વિસ્તારમાં ધનલક્ષ્મી સોસાયટી, અક્ષતા સોસાયટી, કલાકુંજ, આનંદ નગર, અંબાલાલ પાર્ક, શાસ્ત્રી પાર્ક, જલાધામ, ગાંધી ગ્રામ, આશુતોષ, વી.આઈ.પી રોડ પર વૃંદાવન સોસાયટી, ક્રિષ્ના વેલી, અમિતનગર, જાગૃતિ, મીરાં, નિર્વાણા કોમ્પલેક્ષ, તુલસીવાડી વગેરે કારેલીબાગ પાણીની ટાંકીના કમાન્ડ એરીયામાં આવતી સોસાયટીઓ છે, ત્યાં જ પાણીના ધાંધિયા છે. 15 દિવસથી આ સોસાયટીઓમાંથી વારંવાર પાણીની ટાંકી ઉપર ફરીયાદો કરવામાં આવે છે. પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારી પાસે મૌખીક તથા ટેલીફોનીક રજુઆત કરેલ છે, પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.
હાલમાં વડોદરા શહેરની આજુ બાજુ વિસ્તારોના નદી નાળા છલકાઈ ગયા છે, પાણી પૂરતું છે તો પછી વિસ્તારમાં કેમ આવા વારંવાર પ્રોબલેમ કેમ થાય છે તે સવાલ છે. પાણી પુરવઠા ડીપાર્ટમેન્ટમાં તથા અધિકારીઓમાં સંકલનનો અભાવ અને વિતરણ વ્યવસ્થામાં ખામી રહેતી હોવાના કારણે વિસ્તારના રહીશોને સહન કરવાનો વારો આવે છે, પાણીની ટેન્કરો મંગાવી પડે છે અને પાણી જગ મારફતે વેચાતું લેવું પડે છે.










