![]()
Vadodara : સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલના પ્રાગટ્ય દિન ચેટી ચાંદ નિમિત્તે વારસિયા સ્થિત મંદિરે ભગવાનના દર્શનાર્થે વહેલી સવારથી સિંધી સમાજના આબાલ વૃદ્ધ સૌ કોઈ ઉમટી પડ્યા હતા. ભવ્ય રોશનીથી મંદિર સહિત સ્થાનિકોએ પોતાના ઈષ્ટદેવના પ્રાગટ્ય દિન નવા વર્ષે પોતાના ઘરો રોશનીથી શણગારતા સમગ્ર વિસ્તાર ઝળહળી ઉઠ્યો હતો.
વહેલી સવારે પાંચ વાગે ભગવાનનું મંદિર ખુલી જતા પ્રભુ ઝૂલેલાલને પારણે ઝુલાવવા સિંધી જનો ઉમટી પડતા લાંબી કતાર લાગી હતી. સવારે 5.30 વાગ્યાના સુમારે નીકળેલી પ્રભાતફેરીમાં મોટી સંખ્યામાં વારસિયા વિસ્તારના સ્થાનિકો જોડાયા હતા. વિસ્તારમાંથી પ્રભાત ફેરી સવારે 9 વાગે મંદિરે પરત ફરી હતી. આયો લાલ ઝુલેલાલના નારાથી મંદિર સતત ગુંજતું રહ્યું હતું. દિવસભરના વિવિધ સામાજિક કાર્યક્રમથી મંદિર સતત ધમધમતું રહ્યું હતું. બપોરે 12.30 વાગ્યાના સુમારે વિશાળ ભંડારો યોજાયો હતો. આ ઉપરાંત લહેરીપુરા મુનશી ખાચાના સિંધી વેપારીઓએ ઇષ્ટદેવ ઝુલેલાલના પ્રાગટ્યદિન એવા નવા વર્ષે પોતાના વેપાર ધંધા પણ બંધ રાખ્યા હતા.










