![]()
Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મુસ્લિમ બિલ્ડર દ્વારા હિન્દુ વગદારને પાર્ટનર બનાવીને બુઢ્ઢા વાઘ જેવા દાંત અને નખ વિનાના જેવા અશાંતધારા કાનુનનું ભાયલી- તાંદલજાની બોર્ડરે આવેલી અક્ષર આર્ય સહિતની 35 જેટલી સોસાયટીના સ્થાનિક રહીશો સામે બનતા અને મુસ્લિમ બિલ્ડરના કોમ્પ્લેક્સથી ભય અને ગભરાટ ફેલાયો છે. આ અંગે મુસ્લિમ બિલ્ડરના કોમ્પ્લેક્સનું બાંધકામ રોકવાની ઉગ્ર માંગ કરાઈ છે. અશાંત ધારાના કાનૂનનું હળાહળ ઉલ્લંઘન કરીને તંત્ર પાસેથી રજા ચિઠ્ઠી પણ યેનકેન મેળવી લીધી હોવાની રજૂઆત વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ સમક્ષ કરીને આ મામલે ઘટતું કરવા રજૂઆત કરાઈ હતી. સ્થાનિકોએ એકત્ર થઈને રામધુનના સહારે અનોખી રીતે વિરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભાયલી-તાંદળજા વિસ્તારમાં અશાંત ધારો હોવા છતાં પ્લોટના સોદા મામલે સ્થાનિકોનો મોડી રાત્રે મેઘધનુષ સોસાયટી ખાતે રાત્રિના 12 વાગ્યાના સુમારે રહીશોનો કોર્પોરેટરના ઘરે ‘રામ ધૂન’ બોલાવી વિરોધ કર્યો હતો. ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં આવેલા અક્ષર આર્યા સામેના પ્લોટ નંબર 209ના સોદાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે આ વિસ્તાર ‘અશાંત ધારા’ હેઠળ આવતો હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને મિલકતનો સોદો કરવામાં આવ્યો છે. સ્થાનિક રહીશ પ્રજ્ઞા મહેરાના નેતૃત્વમાં મહિલાઓ અને સ્થાનિક રહીશો આજે મેઘધનુષ સોસાયટી ખાતે પૂર્વ સ્થાનિક કોર્પોરેટરના નિવાસ્થાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. રહીશોએ ત્યાં દોઢ કલાક સુધી રોકાઈને ‘રામ ધૂન’ બોલાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ મહિનાથી આ અંગે સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરાયા બાદ અંતે છેલ્લા 15 દિવસથી કલેક્ટર અને પ્રાંત અધિકારીને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. રહીશોની મુખ્ય માંગ છે કે, હિન્દુ-મુસ્લિમ ભાગીદારીમાં થયેલો આ મિલકતનો સોદો તાત્કાલિક રદ કરવામાં આવે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો, રહીશોએ આગામી સમયમાં ઉગ્ર આંદોલન અને ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી છે
અશાંત ધારાના કાયદાથી એકંદરે નુકસાન તો હિન્દુઓને જ થતું હોય છે
અશાંતધારાનો કાયદો એ મુસ્લિમો માટે નહીં પણ એકંદરે નુકસાન તો હિન્દુઓનું જ હોવાના આક્ષેપો સ્થાનિક રહીશોએ કર્યા હતા હિન્દુઓ પોતાની પ્રોપર્ટી બીજા હિન્દુને મજબૂરીમાં પાણીના ભાવે વેચાણ કરી દેતા હોય છે અશાંત ધારાના કાનુન મુજબ અંતે આર્થિક નુકસાન તો હિન્દુને જ વેચવાનો વારો આવે છે. સરકાર આવા કાયદાઓમાં સુધારા કેમ નથી કરતી એ પણ આશ્ચર્યની બાબત છે. આવો જ દાખલો માંડવી નજરબાગ અને અન્ય વિસ્તારમાં જ્યાં હિન્દુઓ મુસ્લિમોને પોતાની પ્રોપર્ટી ઓછી કિંમતે વેચી દેવા મજબૂર બને છે જેથી અશાંતધારાનો સરેઆમ ભંગ થતો હોવા છતાં પણ ‘વહેવાર’ કરવાથી બધુ કાયદેસર થઈ જતું હોવાના પણ આક્ષેપો થયા હતા.










