![]()
Vadodara : ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટના મુદ્દે શુક્રવારની રાતે ટોળાએ સિટી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી નારેબાજી કરી હતી. ત્યારબાદ ટોળાએ જૂનીગઢી વિસ્તારમાં જઇ તોડફોડ કરી હતી. આ બનાવમાં ટોળાની ઉશ્કેરણી કરનાર મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.
જૂનીગઢી વિસ્તારમાં રહેતા ગોલુ કહાર નામના યુવકે ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ મૂકી હતી. જેના પગલે પાણીગેટ વિસ્તારમાં ભારે અરાજકતા ફેલાઇ હતી. આ અંગે ફરિયાદ કરવા કેટલાક લોકો સિટિ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોતજોતામાં લોકો મોટી સંખ્યામાં ભેગા થવા લાગ્યા હતા. પોલીસ અને સમાજના આગેવાનો ટોળાને સમજાવવાની કોશિશ કરતા હતા. પરંતુ, પ્રેસમાં કામ કરતા યુવક સહિત ત્રણ જણાએ ટોળાની ઉશ્કેરણી કરતા ટોળું ઉશ્કેરાયું હતું. નારેબાજી કરી ટોળું જૂનીગઢી તરફ ધસી ગયું હતું. મકાનો પર પથ્થરમારો કરી વાહનોની તોડફોડ કરી ટોળાએ નવરાત્રિના પંડાલને પણ નુકસાન પહોંચાડયું હતું. આ ગુનામાં નાસતા ફરતા મુખ્ય આરોપી મોહંમદહનિફ ઉર્ફે બટકો અબુબકર મેમણ (રહે. નબીલ ફ્લેટ, ગાયત્રી ગેસની ગલીમાં, વાઘોડિયા રોડ) ને સિટી પોલીસે ઝડપી પાડયો છે.










