![]()
Vadodara : વડોદરા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ પદે સાંસદ અને ધારાસભ્યોની એક બેઠક મળી હતી. જેમાં સયાજીગંજના ધારાસભ્ય દ્વારા તેમના વિસ્તારમાં આવેલા રાજીવનગરમાં ગેરકાયદેસર રીતે ઉભી કરી દેવામાં આવેલી. મદરેસા તોડી પાડવાની માગ આવી છે.
ધારાસભ્ય કેયુર રોકડિયાએ અગાઉ રજુઆત કરતા મદરેસાની જમીનની માપણી કરીને તેને સીલ કરી દેવામાં આવી છે. હવે તેને દુર કરીને નવા દબાણખોરોને કડક સંદેશો આપવાની વાત પર ધારાસભ્ય ભાર મુકી રહ્યા છે. આ સાથે જ સયાજીગંજ વિધાનસભામાં વિજ સબસ્ટેશન, આયુર્વેદિક-હોમિયોપેથિક હોસ્પિટલ લવાય તે દિશામાં પણ કામ આગળ વધી રહ્યું છે.
સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જિલ્લા સંકલનની બેઠકમાં અનેકવિધ મુદ્દે જિલ્લા કલેક્ટર સમક્ષ રજુઆત કરી હતી. બેઠક બાદ તેમણે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે ન્યુ અલકાપુરી, કરોડિયા અને ઉંડેરામાં લાઇટો જવાના પ્રશ્નો વધ્યા છે. તેનું કાયમી સમાધાન થાય તે માટે પાલિકા અને કલેક્ટર જોડે જગ્યા લઇને નવું સબ સ્ટેશન નાંખવામાં આવે તેવી રજુઆત કરી છે. સયાજીગંજની આયુર્વેદિક અને હોમિયોપેથીક હોસ્પિટલ વર્ષોથી મંજલપુરમાં ચાલે છે, તેને ફરી વખત સયાજીગંજમાં લાવવાની અમારી માંગ મંજુર થઇ છે. કલેક્ટર દ્વારા જગ્યાની ફાળવણી કરી દેવામાં આવી છે. ત્યાં જલ્દી હોસ્પિટલ બને તે માટે અમે લાગણી વ્યક્ત કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સયાજીગંજ વિસ્તારમાં રાજીવનગરમાં મદરેસાનું બાંધકામ થયું છે. જિલ્લા કલેક્ટરની જગ્યામાં બાંધકામ હોવાથી તેને સીલ કરી દેવામાં આવ્યું છે. સાથે જ તેને તોડી પાડવામાં આવે તેવી અમારી રજુઆત છે. સાથે જ નિઝામપુરામાં બસ સ્ટેન્ડ છે, ત્યાં ઉત્તર ગુજરાતના નાગરિકો માટે સુવિધા માટે નવા રૂટ શરૂ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, અમે બે સંકલનથી મદરેસા માપણી કરાવીને તોડવાની વાત કરી રહ્યા છે. આ વખતે અમે કહ્યું કે, મદરેસાની માપણી કરીને સીલ કર્યું તે સારી વાત છે. હવે તેને તાત્કાલિક ધોરણે દુર કરવામાં આવે.










