![]()
દર વર્ષે ગીરનું જંગલ ઉનાળામાં ખાલીખમ થઈ જાય છે
જંગલમાં ઘાસચારો ખૂટી પડતાં પશુધનનો નિર્વાહ પડકાર બની જાય છે, ગીરની બોર્ડર પરના ગામડાઓમાં માલધારીઓના ડેરા તંબુ
જૂનાગઢ: ગીરના જંગલમાં વસવાટ કરતા માલધારીઓ અને તેમના પશુધન માટે ઉનાળાની ઋતુ કસોટી સમાન હોય છે. ગીરમાંથી સ્થળાંતરની પ્રક્રિયા એ એક અનિવાર્ય પરંપરા બની ગઈ છે. દર વર્ષે ઉનાળામાં ફરજિયાતપણે માલધારીઓ હંગામી સ્થળાંતર કરવા મજબુર બને છે. ગીરનો વિશાળ જંગલ વિસ્તાર ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ફેલાયેલો છે. જંગલમાં અંદાજિત ૫૪ નેસડાઓ આવેલા છે જેમાંથી મોટાભાગના નેસડાઓ અત્યારથી જ ખાલી ખમ થઈ ગયા છે.
પાણી અને ઘાસચારાની અછતને કારણે ગીરના માલધારીઓએ હંગામી સ્થળાંતર કરવું પડે છે. ઉનાળામાં ગીરના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા પાણીના સ્ત્રોતો સૂકાઈ જાય છે. પશુઓ માટે જરૂરી લીલો કે સૂકો ઘાસચારો પણ જંગલમાં ખૂટી પડે છે. ગીરના માલધારીઓ પાસે મુખ્યત્વે ગાય અને ભેંસોનું મોટું પશુધન હોય છે. તેમના જીવનનિર્વાહ અને પશુઓના રક્ષણ માટે તેઓ જંગલ છોડી બહાર નીકળવા મજબૂર બને છે. માલધારીઓ જંગલની બોર્ડર પર આવેલા ગામોમાં અથવા ખેતરોમાં હંગામી ડેરા તંબુ નાખીને રહે છે. ઘણા માલધારીઓ ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના જંગલની બોર્ડર વિસ્તારોમાં ગામડાઓના છેવાડે વસવાટ કરે છે.
આ સ્થળાંતર દરમ્યાન માલધારીઓને સિંહ અને દીપડા જેવા વન્યપ્રાણીઓથી પશુધનને બચાવવા માટે સતત જાગતા રહેવું પડે છે. જેવું ચોમાસું બેસે અને જંગલમાં ફરીથી હરિયાળી છવાય તેમજ પાણીના સ્ત્રોત ભરાઈ જાય, એટલે આ માલધારીઓ પોતાના માલ-સામાન અને પશુઓ સાથે ફરી પોતાના મૂળ નેસડામાં પરત ફરે છે.
માલધારીઓનાં બાળકોનાં શિક્ષણ પર માઠી અસર
દર વખતે થતા આ સ્થળાંતરને કારણે માલધારીઓના બાળકોના શિક્ષણ પર માઠી અસર પડે છે. હાલ ગીરના મોટાભાગના નેસમાં શાળા ચાલતી હોય છે પરંતુ સ્થળાંતરના કારણે માલધારીના બાળકોનો અભ્યાસ પણ ખોરવાઈ જાય છે. આ અંગે માલધારીઓએ જણાવ્યું હતું કે જો અભ્યાસની ચિંતા કરીએ તો પશુધનનું શું કરવું તે અઘરો પ્રશ્ન છે.
નેસડાની જીવનશૈલી અને ઉનાળાની સ્થિતિ
નેસડામાં રહેતા માલધારીઓ લાકડા, ઘાસ અને માટીના બનેલા કાચા મકાનોમાં રહે છે. ઉનાળામાં જ્યારે આ ૫૪ જેટલા નેસડાઓ આસપાસ પાણીના સ્ત્રોત સૂકાઈ જાય છે, ત્યારે માલધારીઓ પોતાના હજારો પશુઓ સાથે જંગલની બહાર નીકળી જાય છે. અષાઢી બીજ કે ચોમાસાના પ્રથમ વરસાદ બાદ જ્યારે જંગલમાં નવું ઘાસ ઉગે, ત્યારે આ પરિવારો ફરી પોતાના નેસડામાં પરત ફરે છે.










