![]()
National News: બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને જન સુરાજ પાર્ટીના તમામ ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થયા બાદ ચૂંટણીના ચાણક્ય કહેવાતા પ્રશાંત કિશોરે ફરી રાજનીતિનો પારો હાઇ કર્યો છે. આ વખતે તેમની બંધ બારણે પ્રિયંકા ગાંધી સાથે થયેલી મુલાકાત ચર્ચાનો વિષય બની છે. સૂત્ર પ્રમાણે આ બેઠક બે કલાક જેટલી લાંબી ચાલી હતી.
બંને પાર્ટીઓ બિહારમાં નબળી
આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે બિહાર ચૂંટણીમાં જન સુરાજ પાર્ટીનું પ્રદર્શન એકદમ નબળું રહ્યું. પાર્ટી 238 બેઠક પર ચૂંટણી લડી હતી, પણ એક પણ બેઠક જીતી શકી ન હતી. નવાઈની વાત તો એ છે કે 236 ઉમેદવારોની તો ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી. બીજી તરફ કોંગ્રેસ પણ કાઠું કાઢી શકી ન હતી. કોંગ્રેસ 61 બેઠકમાંથી માત્ર 6 બેઠક જ જીતી શકી હતી. તેવામાં બંને નબળી પાર્ટીઓના નેતાઓની આ મુલાકાત અનેક સવાલ ઊભા કરે છે.
કેમ ગાંધી પરિવારથી અળગા થઈ ગયા પ્રશાંત કિશોર?
પ્રશાંત કિશોર અને ગાંધી પરિવારના સંબંધ જૂના છે. 2021માં જેડીયુથી અલગ થયા બાદ પ્રશાંત કિશોર જ કોંગ્રેસ નેતૃત્વ સામે પાર્ટીને ઊભી કરવાની એક બ્લૂપ્રિન્ટ રાખી હતી. એપ્રિલ 2022માં સોનિયા ગાંધીના નિવાસસ્થાને એક મોટી બેઠક મળી હતી જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર હતા. એ સમયે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં ભળવા તૈયાર હતા, પણ પાર્ટીએ તેમણે ‘એમ્પાવર્ડ એક્શન ગ્રૂપ’નો હિસ્સો બનવાનું કહેતા મામલો ડખે ચડ્યો હતો.
‘કોંગ્રેસને વ્યક્તિ નહીં પણ..’
આ પ્રસ્તાવથી કોંગ્રેસ અને પ્રશાંત કિશોર વચ્ચે વાત બગડી ચૂકી હતી. કિશોર સીમિત ભૂમિકા સ્વીકારવા તૈયાર ન હતા, જે તે વખતે તે ખૂલીને બોલ્યા હતા કે કોંગ્રેસને વ્યક્તિ નહીં પણ નેતૃત્વ અને સંરચાનામાં સુધારાની જરૂર છે. તે બાદ બંનેના રસ્તાઓ અલગ થઈ ગયા અને પ્રશાંત કિશોર જ કોંગ્રેસના મુખ્ય વિરોધી બન્યા. કિશોરે બિહાર ચૂંટણી વખતે રાહુલ ગાંધીના વોટ ચોરી અને SIRના મુદ્દાઓને ચૂંટણી મુદ્દાઓ માનવાથી સાફ ના કહી દીધી હતી.
આ પણ વાંચો: કોવિડ વેક્સિનના કારણે યુવાનોમાં વધ્યું ઓચિંતા મોતનું પ્રમાણ? AIIMS અને ICMRની સ્ટડીમાં ઘટસ્ફોટ
હવે કોંગ્રેસ અને કિશોર નજીક આવશે?
પ્રિયંકા અને પ્રશાંત કિશોરની મુલાકાત બિહારની રાજનીતિમાં નવો અધ્યાય શરુ કરી શકે છે. સૂત્ર મુજબ બંને નેતાઓ વચ્ચે વિપક્ષની રણનીતિ અને ભવિષ્યની સંભાવનાઓ પર ચર્ચા થઈ, પણ એ સામે આવ્યું નથી કે ઔપચારીક રીતે રાજનીતિક સહયોગ માટે બંને પાર્ટી વચ્ચે સહમતી સધાઈ છે કે નહીં? આ મુલાકાત બાદ એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું હવે કોંગ્રેસ અને કિશોર નજીક આવશે. કે માત્ર શિષ્ટાચાર પૂરતી મુલાકાત હતી. રાજનીતિમાં સંયોગ ઓછું અને સંકેત વધારે મહત્ત્વના છે. બિહારમાં જડમૂળથી બંને પાર્ટીઓના મળેલા જાકારા બાદ પ્રશાંત કિશોરનું પ્રિયંકા ગાંધીને મળવું રાજકારણમાં મોટી ઉલટફેરના સંકેત હોઈ શકે છે.










