![]()
વડોદરા,એક મહિના પહેલા વાઘોડિયારોડના બંધ મકાનમાંથી ચોરી કરનાર આરોપીને પાણીગેટ પોલીસે ઝડપી પાડી દાગીના અને રોકડ મળી ૧.૬૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વાઘોડિયારોડ જય અંબે ગરબા ગ્રાઉન્ડ સામે પૃથ્વી સોસાયટીમાં રહેતા નિવૃત્ત શિક્ષક મગનભાઇ રણછોડભાઇ રોહિત ગત ૨ જી તારીખે રાત્રે ૮ વાગ્યે કપુરાઇ ખાતે આવેલા ઓમ રેસિડેન્સીમાં બહેનના ઘરે ધાર્મિક પ્રસંગમાં પરિવાર સાથે ગયા હતા. તે દરમિયાન ચોર તેમના ઘરમાંથી સોના – ચાંદીના દાગીના અને રોકડા ૪૦ હજાર મળી કુલ ૧.૭૮ લાખની મતા ચોરી ગયો હતો. પાણીગેટ પોલીસ સ્ટેશનના પી.આઇ. એ.બી. પટેલે સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક ચોર નજરે પડયો હતો. બાતમીદારોને મારફતે તપાસ કરતા ચોરી કરનાર પાણીગેટ બાવચાવાડ ખાતે રહેતો અરવિંદ શંકરભાઇ વાઘેલા હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે સોની પાસેથી દાગીના પણ કબજે કર્યા છે.








