Godhra Aadhaar Center Safety Risk : પંચમહાલના ગોધરામાં આધાર સેન્ટર જોખમનું કેન્દ્ર બન્યું હોવાની ઘટના સામે આવી છે. નગરપાલિકા રોડ પર સીંધી શાળાના જર્જરિત ઓરડામાં આધાર સેન્ટર ચલાવાતા લોકોના જીવ અદ્ધર થયા છે. આ સેન્ટર ખાતે નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી રોજ મોટી સંખ્યામાં લોકો ઉમટે છે, ત્યારે સુવિધાના અભાવે હાલાકી ભોગવવાની સાથે અરજદારોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ગોધરામાં આધાર સેન્ટરની ખંડેર જેવી સ્થિતિ
મળતી માહિતી મુજબ, ગોધરાની શાળાના જર્જરિત ઓરડામાં ચલાવવામાં આવતા આધાર સેન્ટરની છત તૂટી પડે તેવી હાલત હોવાથી અકસ્માતનો ભય સતત મંડરાય રહ્યો છે. જર્જરિત હાલતમાં સેન્ટર હોવાની સાથે ગંદકી સહિતની સમસ્યાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને સ્થાનિકોએ તાત્કાલિક અન્ય સુરક્ષિત સ્થળે સેન્ટર ખસેડવાની માગ કરી છે.

આ પણ વાંચો: પંચમહાલ: ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનો છબરડો, બી.કોમ સેમ-4ના પેપરમાં સેમ-2ના પ્રશ્નો પૂછાયા!
અરજદારોએ શું કહ્યું?
અરજદારોનું કહેવું છે કે, ‘આધાર કાર્ડમાં સુધારો કરવા સેન્ટર ખાતે આવ્યા છીએ, પરંતુ અહીં ખંડેર જેવી સ્થિતિ છે. સેન્ટરમાં પંખાની સુવિધા નથી, છતમાંથી સિમેન્ટના ગાબડા પડે છે. લોકોના જીવને જોખમ રહે છે. એટલે અન્ય કોઈ યોગ્ય સ્થળે સેન્ટર આપવામાં આવે.’








