![]()
વડોદરાઃ શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલી વિદ્યા મંદિર સ્કૂલમાં તા.૧૩ ઓકટોબર, સોમવારના રોજ વિદ્યાર્થીઓ વચ્ચે જય શ્રી રામ બોલવાના મુદ્દે હોબાળો મચી ગયો હતો.સ્કૂલ સંચાલકોએ હિન્દુ વિદ્યાર્થીઓના વાલીઓ અને અન્ય ધર્મના વિદ્યાર્થીના વાલીને સ્કૂલમાં બોલાવ્યા હતા.એ પછી પણ સ્થિતિ થાળે પડે તેમ નહીં લાગતા વારસિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.
દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ આજે સ્કૂલ ખાતે પહોંચીને વિરોધ દર્શાવ્યો હતો.આગેવાનો તથા પાંચ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ એક બીજાને મળીને જય શ્રી રામ કહેતા હતા ત્યારે અન્ય ધર્મના વિદ્યાર્થીએ વાંધો ઉઠાવ્યો હતો અને સ્કૂલ સંચાલકોએ આ વિદ્યાર્થીની તરફેણ કરીને વિદ્યાર્થીઓને જય શ્રી રામ બોલતા અટકાવ્યા હતા.જો વિદ્યાર્થીઓ ભારતમાં જય શ્રી રામ નહીં બોલે તો ક્યાં બોલશે? ઉલટાનું સંચાલકોએ પોલીસ પાસે લઈ જઈને વિદ્યાર્થીઓ પાસે લેખિત માફી મંગાવી છે.
બીજી તરફ પોલીસે કહ્યું હતું કે, સામાન્ય બાબતે ઝઘડો થયો હતો.બંને પક્ષના વાલીઓને બોલાવીને બાંયધરી પત્ર લખાવવામાં આવ્યો છે.










