![]()
જૂનાગઢની હોસ્ટેલમાં માર માર્યાની ઘટનાથી આક્રોશ
શાળા-હોસ્ટેલની માન્યતા રદ કરી સંચાલકો સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે આહિર સમાજનું આવેદન
જૂનાગઢ: જૂનાગઢના બાયપાસ પર આવેલી હોસ્ટેલમાં પાંચ વિદ્યાર્થીઓની ગેંગે એક વિદ્યાર્થીને માર માર્યાની ઘટના દબાવી દેનાર શાળા અને હોસ્ટેલ સંચાલક પણ હુમલાખોર વિદ્યાર્થીઓ જેટલા જ ગુનેગાર છે, શાળા અને હોસ્ટેલની માન્યતા રદ કરી સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવે એવી માંગ સાથે આજે આહિર સમાજે કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું.
શહેરના મધુરમ બાયપાસ પર આવેલા આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં રહેતા અને ધો.૧રમાં અભ્યાસ કરતા ઉપલેટાના વિદ્યાર્થીને પાંચ વિદ્યાર્થીઓએ ગેંગ બનાવી બેફામ માર માર્યો હતો. તા.ર૭-૭-ર૦રપના આ ઘટના બની હતી છતાં આલ્ફા સ્કૂલ અને હોસ્ટેલના સંચાલકોએ આ બનાવ દબાવી દેવા અને પુરાવાનો નાશ કરવા પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીના વાલીને પણ કોઈ જાણ કરી ન હતી. સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થયો ત્યારે વિદ્યાર્થીના પિતાને આ ઘટનાની જાણ થઈ હતી. આ વીડિયો વાયરલ થયા બાદ અન્ય વિદ્યાર્થીને માર મારતા હોવાના ત્રણ-ચાર વીડિયો સામે આવ્યા હતા.
આ હોસ્ટેલમાં આ પ્રકારની ઘટના અગાઉ પણ બની હતી. શાળા તથા હોસ્ટેલના સંચાલકના ધ્યાનમાં હોવા છતાં આ ઘટનાને દબાવી દીધી હતી. આ મુદ્દે આજે જૂનાગઢ આહિર સમાજે કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે. જેમાં આવા ગેરકાનુની કૃત્યને દબાવી શાળા અને હોસ્ટેલ સંચાલક માર મારનાર વિદ્યાર્થી જેટલા ગુનેગાર છે આથી આ મામલે નિષ્પક્ષ તપાસ કરી ભોગ બનનારને ન્યાય આપવા તેમજ શાળા અને હોસ્ટેલની માન્યતા રદ કરી સંચાલકો સામે પણ ગુનો દાખલ કરવામાં આવે એવી માંગ કરી હતી.










