![]()
વડોદરા,છેલ્લા બે દિવસથી વરસાદ નથી અને આજવા સરોવરથી પાણી છોડવાનું બંધ કરાતા વિશ્વામિત્રી નદીમાં સપાટી સતત ઘટતી જતી હતી. આજે સાંજે સવારે ૧૨.૪૩ ફૂટ થઈ ત્યારે આજવા સરોવરના ૬૨ દરવાજામાંથી ફરી પાણી છોડવાનું ચાલુ કર્યું છે.
સાંજે આજવાની સપાટી ૨૧૩.૬૩ ફૂટ હતી. હાલના તબક્કે સપાટી ૨૧૩ ફૂટ સુધી લઈ જવાશે અને વરસાદી માહોલ અને આગાહી મુજબ નિર્ણય લેવાશે. જો પરિસ્થિતિ અનુકૂલ હશે તો આજવાથી વધુ પાણી છોડીને લેવલ ૨૧૨.૭૫ સુધી લઈ જવાશે. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ કહ્યું હતું કે આ વખતે ઉપરવાસમાં ૩૪ ટકા વધુ વરસાદ છે, પરંતુ ૧૦૦ દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરતા તેના સારા પરિણામ જણાયા છે. નદી પહોળી અને ઊંડી થતા તેની વહન ક્ષમતા ૭૫૦ થી વધીને ૧૧૪૦ ક્યુમેક્સ થઈ છે. આજવામાં ડ્રેજિંગ કરતા તેમાં પાણીનો સંગ્રહ વધ્યો છે. પ્રતાપપુરામાં પણ પોન્ડમાં પોન્ડ બનાવતા સંગ્રહશક્તિ વધી છે. હાલ વીઅર પરથી ૨૦૦૦ ક્યુસેકનો ઓવરફલો થઈ રહ્યો છે. ગયા વર્ષે પૂરની સ્થિતિ હતી તેની સરખામણીમાં શહેરી વિસ્તારમાં ૯૩ ટકા વરસાદ નોંધાયો છે, પરંતુ પૂર નિયંત્રણ માટે સમયસર કામગીરી કરતા પૂરનો ભય હવે ટળી ગયો છે.










