![]()
વડોદરા, તા.28 વડોદરાના પશ્ચિમ વિસ્તારનો વિકાસ ખૂબ ઝડપથી થઇ રહ્યો છે પરંતુ તંત્ર સુવિદ્યા આપવામાં વામણું પુરવાર થયું છે. અનેક સોસાયટીઓ તેમજ ગામોને જોડતો ખાનપુર-સોનારકુઇ રોડ ખુલ્લો નહી કરાતા ગ્રામજનો તેમજ સોસાયટીના લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. વુડા અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કારણે રોડ નહી બનતા લોકો વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ખાનપુર, સેવાસી, શેરખી તેમજ અંકોડીયા અને કોયલીને જોડતી ટીપી સ્કીમ ૨૪ એ અને ૨૪ બી મૂકવામાં આવી છે. જેમાં ૨૪ બી ટીપી સ્કીમ વિસ્તારમાં અનેક સોસાયટીઓ તેમજ ફ્લેટો બની ગયા છે પરંતુ રોડના કામો નહી થતાં લોકોને હેરાન થવું પડે છે. આ ટીપી સ્કીમમાં ૧૮ મીટર પહોળો રોડ બનાવવાનું સૂચન છે. આ રોડ ખાનપુરથી સોનારકુઇ ગામને જોડશે જે સેવાસી-સિંઘરોટ મુખ્ય રોડને જોડતો છે.
પરંતુ સમગ્ર વિસ્તારમાં રોડને ખુલ્લો નહી કરાતા રહીશોને અવરજવર માટે સાંકડા તેમજ વારંવાર વળાંકવાળા રોડનો ઉપયોગ કરવો પડે છે. કેટલીક વખત આ રોડ પર સામેથી આવતું વાહન નહી દેખાતા અકસ્માત પણ સર્જાય છે. ૧૮ મીટર રોડ માત્ર કહેવા પૂરતો જ છે પરંતુ રોડનું કામ પૂરું કરવામાં નહી આવતા લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી. તંત્ર દ્વારા રોડ માટે મોટો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ આ ખર્ચ માથે પડયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.
વુડા તેમજ કોર્પોરેશનની હદને જોડતા આ રોડનું કામ ક્યાં કારણોસર પૂરુ થતું નથી તે ચર્ચાનો વિષય બન્યો છે. જે સ્થળે રોડ ખુલ્લો કરવાનો ના હોય ત્યાં રોડને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે જ્યારે વાહનોની વધારે અવરજવર ધરાવતા વિસ્તારનો રોડ ખુલ્લો નહી કરવામાં આવતો નથી. રોડ ખુલ્લો નહી કરાતા આશરે ૧૦૦ જેટલી સોસાયટીઓ તેમજ ગ્રામજનોના એક લાખ લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.










