![]()
શહેરમાં ભુવા પડવાની ઘટનાઓ સતત વધી રહી છે. આજે શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં ભુવા પડ્યા હતા. કારેલીબાગના આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે પાસે ભૂવામાં કાર ફસાઈ ગઈ હતી. જ્યારે પૂર્વ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ભુવાનું સમારકામ ન થતા લોકો રોષે ભરાયા હતા.
વોર્ડ નં. 7માં સમાવિષ્ટ કારેલીબાગના આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે રસ્તાની સાઈડમાં અચાનક ભુવો પડતા એક કારનું આગળનું પૈડું તેમાં ખુંપી ગયું હતું, જેના કારણે કાર ફસાઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટના બાદ કોંગ્રેસના આગેવાન અને સામાજિક કાર્યકરે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, વોર્ડ નં. 3 અને 7માં હલકી ગુણવત્તાની કામગીરીને કારણે વારંવાર ભુવા પડી રહ્યા છે. નાગરિકોના ટેક્સના નાણાનો વેડફાટ થઈ રહ્યો છે અને “કારેલીબાગ હવે ખાડોદરાબાગ” બની ગયું છે. બીજી તરફ, પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 5માં, બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ ભાઈલાલ પાર્ક સોસાયટી ચાર રસ્તા પાસે છેલ્લા એક મહિનાથી ભુવો પડ્યો છે. પાણીની લાઈનના કામ બાદ રસ્તાનો ભાગ ધસ્યો હોવા છતાં તંત્રે સમારકામ કર્યું નથી. સુરક્ષાના ભાગરૂપે મુકવામાં આવેલા બેરીકેડ પણ હવે ભુવામાં ધસી ગયા છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે. સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકર્તાઓ સ્થળ પર એકત્ર થઈ તંત્રની ધીમી કામગીરીની નિંદા કરી હતી.










