![]()
Teacher Agitation In Gujarat: રાજ્યમાં વર્ષ 2010 પહેલાં નિયુક્ત થયેલા પ્રાથમિક શિક્ષકોના સેવા હિતોની સુરક્ષા અને TET (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) તેમજ TAT પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવા સહિતના પડતર પ્રશ્નો મુદ્દે શિક્ષકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં શિક્ષકો દ્વારા દેખાવો અને આવેદન પત્ર પાઠવવામાં આવી રહ્યા છે. જેમાં વાવ-થરાદ પંથકમાં વહીવટી તંત્રે ધરણાંની મંજૂરી ન આપતા શિક્ષકોમાં ભારે નારાજગી વ્યાપી છે, જ્યારે બીજી તરફ અમરેલીમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ રસ્તા પર ઉતરી રેલી યોજી કલેક્ટર કચેરી ગજવી હતી.
વાવ-થરાદમાં છેલ્લી ઘડીએ ધરણાંની મંજૂરી ન મળતા શિક્ષકોમાં ભારે રોષ
વાવ-થરાદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો અને ખાસ કરીને એનસીટીઇ (NCTE)ના નિયમો સંદર્ભે ઉદ્ભવેલી વિસંગતતાઓના વિરોધમાં ગાંધી ચીંધ્યા માર્ગે દેખાવો કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા છેલ્લી ઘડીએ ધરણાં કરવાની મંજૂરી ન આપતા, શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો અને શિક્ષકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા મંજૂરી ન મળવા છતાં શિક્ષક હિતમાં પીછેહઠ કર્યા વગર મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપીને સરકાર સમક્ષ પોતાની માગણીઓની રજૂઆત કરવામાં આવી છે.
અમરેલીમાં 150થી વધુ શિક્ષકોએ પોસ્ટર્સ સાથે રેલી યોજી
બીજી તરફ, અમરેલી જિલ્લામાં પણ શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ શિક્ષકોએ આરપારની લડાઈના મૂડમાં બાયો ચડાવી છે. અમરેલી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના આહ્વાન પર 150થી વધુ શિક્ષકોએ એકઠા થઈને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા. હાથમાં પોતાની માંગણીઓના પોસ્ટર્સ અને બેનર્સ લઈને મોટી સંખ્યામાં શિક્ષકો રેલી સ્વરૂપે અમરેલી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરી તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માંગ કરી હતી.
શૈક્ષિક મહાસંઘ અને શિક્ષકોની મુખ્ય માંગણીઓ
•TET-TAT માંથી મુક્તિ: 23 ઓગસ્ટ 2010 પહેલાં નિયુક્ત થયેલા તમામ શિક્ષકોને TET અને TATની ફરજિયાત પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવામાં આવે, અથવા 29મી જુલાઈ 2011ના જાહેરનામા મુજબ લાયકાતમાં યોગ્ય છૂટછાટ અપાય.
•નવા નિયમો ભૂતકાળની અસરથી લાગુ ન કરવા: એનસીટીઇ (NCTE)ના નવા નિયમોને ભૂતકાળની અસરથી લાગુ ન કરવામાં આવે અને વર્ષ 2010-2011 દરમિયાન જે-તે સમયના પ્રવર્તમાન નિયમો મુજબ થયેલી શિક્ષકોની ભરતીને જ માન્ય રાખવામાં આવે.
•સિનિયોરિટી અને લાયકાતનું નિરાકરણ: સીપીઈડી, ડીપીઈડી, બીપીઈડી તેમજ બાલમંદિર/પ્રાથમિક શિક્ષણના ડિપ્લોમા અને એન.ટી.ટી.આઈ. (NTTI) ધારક શિક્ષકોની લાયકાત તથા સિનિયોરિટી બાબતે ઉભા થયેલા પ્રશ્નોનું વહેલી તકે કાયમી નિરાકરણ લાવવું.
•કેન્દ્ર સરકારના ગેઝેટ અને હાઈકોર્ટના ચુકાદાઓ (Legal Certainty)ને ધ્યાને રાખીને પ્રાથમિક શિક્ષકોના હિતનું રક્ષણ કરવું અને બિનજરૂરી કાનૂની ગૂંચવણોથી શિક્ષકોને મુક્ત કરવા.
ઉકેલ નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના વરિષ્ઠ હોદ્દેદારોએ તંત્રની નીતિ સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ‘અમે લોકશાહી ઢબે શાંતિપૂર્વક ધરણાં યોજીને રજૂઆત કરવા માંગતા હતા, પરંતુ તંત્રે મંજૂરી ન આપીને શિક્ષકોનો અવાજ દબાવવાનો નકામો પ્રયાસ કર્યો છે. પરંતુ અમે આવા દબાણોથી અટકવાના નથી. આજે અમે આવેદન પત્ર આપીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે. જો વહેલી તકે આ સંવેદનશીલ મુદ્દાઓનો સકારાત્મક અને ન્યાયિક ઉકેલ નહીં આવે, તો સમગ્ર રાજ્યના શિક્ષકોને સાથે રાખીને મહાસંઘ દ્વારા આગામી દિવસોમાં વધુ ઉગ્ર અને આક્રમક આંદોલનાત્મક પગલાં ભરવામાં આવશે.’










