![]()
Indigo Chaos: વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર મંગળવારે ઇન્ડિગો એરલાઇન્સની કોલકાતા જતી ફ્લાઇટ રદ થઈ ગઈ. ધુમ્મસના કારણે કોલકાતાથી વારાણસી આવતું વિમાન બપોરે 1:00 વાગ્યાની બદલે સાંજે 5:00 વાગ્યે પહોંચ્યું. મોડું થવાના કારણે પાયલટ અને ચાલક દળે ડ્યુટીનો સમય (FDTL) પૂરો થવાનું કહીને વિમાન ઉડાડવાનો ઇન્કાર કરી દીધો. જેના કારણે 179 મુસાફરોને બોર્ડિંગ પાસ મળ્યા છતાં આખી રાત હોટેલમાં રોકાવું પડ્યું. એરલાઇને બીજા દિવસે બુધવારે વૈકલ્પિક વ્યવસ્થા કરી મુસાફરોને કોલકાતા રવાના કર્યા.
આ પણ વાંચોઃ છત્તીસગઢના રાયપુરમાં ક્રિસમસની ઉજવણીમાં ભંગ, બંધના એલાન વચ્ચે મોલમાં તોડફોડ
બોર્ડિંગ પાસ હાથમાં અને ફ્લાઇટ રદ
વારાણસીથી કોલકાતા જતાં 179 મુસાફરોએ સમયસર પહોંચીને ચેકિંગની પ્રક્રિયા પૂરી કરી દીધી હતી. તમામ મુસાફરો હોલ્ડ એરિયામાં બેસીને ફ્લાઇટની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે અચાનક સૂચના મળી કે, ફ્લાઇટ રદ કરી દેવાઈ છે. પાયલટે ડ્યુટીનો સમય પૂરો થઈ ગયો હોવાનું કહીને હાથ અદ્ધર કરી દીધા. આ સૂચના મળતાંની સાથે જ મુસાફરોનો ગુસ્સો ફાટ્યો અને ઍરપોર્ટ પર જોરદાર હોબાળો થયો. ત્યારબાદ એરલાઇન દ્વારા મુસાફરોને સમજાવીને હોટેલ મોકલવામાં આવ્યા.
ધુમ્મસે બગાડ્યું ફ્લાઇટનું ગણિત
હકીકતમાં, મંગળવારે ગાઢ ધુમ્મસના કારણે વિમાનનું સંચાલન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. કોલકાતાથી જે વિમાન વારાણસી આવવાનું હતું, તે પહેલાં જ 4 કલાક મોડું હતું, સાંજે 5:00 વાગ્યે જ્યારે વિમાન લેન્ડ થયું, ત્યાં સુધી ક્રૂ મેમ્બરની શિફ્ટ પૂરી થઈ ગઈ હતી. સુરક્ષાના નિયમો હેઠળ થાકેલા પાયલટથી વિમાન ઉડાડી ન શકાય, જેના કારણે એરલાઇનને આ નિર્ણય લેવો પડ્યો.
આ પણ વાંચોઃ રેલવે ટ્રેક ઓળંગતા 5 લોકો ટ્રેન નીચે કચડાયા, ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં માતમ પ્રસર્યો
ઍરપોર્ટ ડિરેક્ટર શું કહે છે?
ઍરપોર્ટ ડિરેક્ટર પુનીત ગુપ્તાએ સ્પષ્ટ કર્યું કે, પાયલટ અને ક્રૂ મેમ્બર્સ માટે ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નિયમ લાગુ પડે છે. તે સમયે વૈકલ્પિક પાયલટ અને ક્રૂ મેમ્બર હાજર ન હતા, જેના કારણે વિમાનને કો ગ્રાઉન્ડેડ કરવું પડ્યું. મુસાફરોના હોબાળા બાદ બુધવારે બીજી વ્યવસ્થા કરવામાં આવી અને તમામ મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવ્યા.










