![]()
Vijayadashami 2025: આજે વિજયાદશમીના પાવન અવસરે રાજ્યભરમાં શૌર્ય, શક્તિ અને વિજયના પ્રતીક સમાન શસ્ત્રપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં દશેરાના દિવસે શસ્ત્રોનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે, જે દુષ્ટતા પર સારાની જીત અને અનિષ્ટ તત્વોને દૂર કરવાના સંકલ્પને મજબૂત કરે છે.
સુરક્ષાદળો અને પોલીસકર્મીઓની શસ્ત્રપૂજા
આ પવિત્ર દિવસે આર્મી જવાનો, સુરક્ષાદળો અને પોલીસકર્મીઓએ પણ વિધિવત રીતે શસ્ત્રોની પૂજા કરી હતી. શસ્ત્રપૂજા આપણી રક્ષા શક્તિની ભાવનાને દર્શાવે છે. પૂજા દરમિયાન શસ્ત્રોને કંકુ, ચોખા અને પુષ્પો અર્પણ કરીને તેમની રક્ષા શક્તિ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પૂજન તેમને પોતાની જવાબદારીનું ભાન કરાવે છે અને સતત જનસેવા માટે પ્રેરિત કરે છે.
ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સામૂહિક પૂજન
ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા દશેરાના રોજ શસ્ત્રપૂજાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. ગુજરાતના અનેક જિલ્લામાં સમાજના લોકોએ આજે વિધિવત રીતે શસ્ત્રપૂજા કરી હતી. ઘણા સ્થળોએ જાહેર કાર્યક્રમ રાખીને સામૂહિક પૂજા કરવામાં આવી હતી, જેમાં પરિવારના અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલીમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન
અસત્ય પર સત્યના વિજયના પ્રતીક એવા વિજયાદશમી (દશેરા)ના પાવન અવસર પર અમરેલી ખાતે ગીરાસદાર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે સમાજના વીરતા અને બલિદાનના પ્રતીક એવા શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી, જે સમાજના ઈતિહાસ અને સંસ્કૃતિને જીવંત રાખે છે.
આ પાણ વાંચો: વિજયાદશમી પર શા માટે થાય છે શસ્ત્રોની પૂજા? જાણો આયુધ પૂજનનું મહત્ત્વ, મુહૂર્તનો સમય અને પૂજા વિધિ
સ્નેહમિલન સમારોહનું આયોજન
શસ્ત્ર પૂજનની સાથે સાથે ક્ષત્રિય સમાજ દ્વારા સ્નેહમિલન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સમાજના શ્રેષ્ઠીઓ, વડીલો અને યુવાનો એકબીજાને મળ્યા હતા અને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી હતી. આ સ્નેહમિલન સમારોહનો મુખ્ય હેતુ સમાજમાં એકતા જાળવવાનો અને પરસ્પરના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હતો. સમાજના આગેવાનોએ યુવાનોને સંસ્કૃતિ અને પરંપરા જાળવવા માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ગીરાસદાર ક્ષત્રિય રાજપૂત સમાજની ધાર્મિક આસ્થા, શૌર્ય અને સંગઠનની ભાવના જોવા મળી હતી.
વાહનો અને ધંધા-રોજગારના સાધનોનું પણ થયું પૂજન
શસ્ત્રપૂજાની સાથે સાથે આજના દિવસે ધંધા-રોજગારના સાધનો અને વાહનોની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. લોકોએ પોતાની રોજી રોટીના સાધન અને વાહનને ફૂલ હાર ચઢાવી, કંકુનો ચાંદલો કરી અને ચોખા લગાવીને પૂજન કર્યું હતું. આ પૂજન દ્વારા લોકો પોતાના વ્યવસાય અને આવકના સાધનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.
આમ, વિજયાદશમીનો આ પાવન અવસર રાજ્યભરમાં શૌર્ય, સુરક્ષા અને સમૃદ્ધિના સંકલ્પ સાથે ધાર્મિક ઉત્સાહથી ઉજવાયો હતો.









