![]()
Surat : આવતીકાલથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે તો હિન્દુઓના પવિત્ર ગણાતો શ્રાવણ માસ અનેક લોકોના ધંધા-રોજગાર માટે રોટેશનનો મહિનો પણ બની જાય છે. શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ દેવ દર્શન માટે ઉમટી પડે છે તેના કારણે ટ્રાવેલ્સના ધંધાવાળાને રોજગારીના નવા દ્વાર ખુલ્લા થયાં છે. શ્રદ્ધાળુઓ શ્રાવણ માસમાં પુણ્ય કમાવવા કરે છે ધાર્મિક પ્રવાસ કરે છે અને આ દિવસોમાં ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા તથા મંદિરની આસપાસ બેસી ધંધો કરનારા માટે શ્રાવણ મહિનો સંજીવની જેવો બની જાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી શ્રાવણ મહિના દરેક રવિવારે-અને સોમવારે દક્ષિણ ગુજરાતના બાર મહાદેવના દર્શનનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે જેનો સીધો ફાયદો નાની મોટી ગાડી લઈ ટ્રાવેલ્સનો ધંધો કરનારાઓને થયો છે.
આવતીકાલ શુક્રવારથી હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે ત્યારે સૂરતીઓ વધુ શ્રદ્ધાળુ બની જાય છે. શ્રાવણ મહિનામાં શિવજીનો મહિમા હોય સુરતીઓ દક્ષિણ ગુજરાતના બાર મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડે છે. આમ તો કેટલાક લોકો સોમવારે બાર મહાદેવ જવાનો આગ્રહ રાખે છે પરંતુ નોકરી ધંધા સાથે સંકળાયેલા લોકો વીક એન્ડમાં બાર મહાદેવના દર્શન માટે ઉપડી જાય છે. જેના કારણે સુરત શહેરમાં નાના ટ્રાવેલ્સવાળાઓ માટે આ શ્રાવણ મહિનો સંજીવની જેવો બની રહ્યો છે. શ્રાવણ માસની શરૂઆત સાથે જ નાના ટ્રાવેલ્સવાળાને રોજગારીમાં વધારો થઈ રહ્યો છે. પહેલા તો માત્ર સોમવારે 12 મહાદેવના દર્શન કરવા માટે ટુર ઉપડતી હતી પરંતુ હવે રવિવારે પણ લોકો 12 મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. જ્યારે કેટલાક ટ્રાવેલ્સ વાળા ડાકોર, અંબાજી સહિતના ધાર્મિક સ્થળોએ પણ પ્રવાસ શરૂ થઈ રહ્યાં છે.
માત્ર ટ્રાવેલ્સ વાળાને જ તેજી છે તેવું નથી પરંતુ કેટલાક ટ્રાવેલ્સવાળા એક સમયનો નાસ્તો અને ભોજન પણ આપે છે તેથી રસોઈયાની પણ ડિમાન્ડ રહે છે અને રસોઈયાનો ધંધો પણ ચાલી રહ્યો છે. શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરવા જાય છે ઘણાં પુજા કરાવતા હોય છે તેથી કર્મકાંડ કરતા બ્રાહ્મણો માટે પણ શ્રાવણ મહિનો ફળી રહ્યો છે. મંદિરના દર્શન માટે સુરતીઓ જાય છે એટલે ભગવાનને પુજાપો અને પ્રસાદ ધરાવે છે તેથી મંદિરની આસપાસ પુજાપો અને ફુલની દુકાન ધરાવતા લોકો માટે પણ ઘરાકી સારી રહે છે.
દક્ષિણ ગુજરાતના અનેક મંદિરો બહાર ગામના તાજા શાકભાજીનું પણ વેચાણ થાય છે સુરતીઓ દેવ દર્શન માટે જાય છે ત્યારે તાજી શાકભાજી લેવાનો આગ્રહ રાખતો હોય નાના વેપારીઓને સીધો ફાયદો થાય છે અને શાકભાજીના દામ પણ સારા મળી શકે છે. આમ શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરીને પુણ્ય કમાઈ રહ્યા છે તો શ્રદ્ધાળુઓના કારણે ટ્રાવેલ્સ વાળા સાથે નાનો ધંધો કરનારાઓ માટે પણ આવક માટેનો સ્ત્રોત બની જાય છે.
શ્રાવણ માસમાં આ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર આવે છે
- – કંતારેશ્વર મહાદેવ, સુરત,
- – ગળતેશ્વર મહાદેવ- કામરેજ
- – ઋઉ મુક્તેશ્વર મહાદેવ – એના
- – કનકેશ્વર મહાદેવ – કણાવ
- – કેદારેશ્વર મહાદેવ- બારડોલી
- – શુકલેશ્વર મહાદેવ- અનાવલ
- – ભાવ ભાવેશ્વર મંદિર- બરુમાળ
- – તડકેશ્વર મહાદેવ- વલસાડ
- – મલ્લિકાર્જુન મહાદેવ – ચીખલી
- – સોમનાથ મહાદેવ – મહાદેવ
- – અંધેશ્વર મહાદેવ – અનાવલ
- – ગંગેશ્વર મહાદેવ – કછોલી
- – કામેશ્વર મહાદેવ – ગડત
- – કંતારેશ્વર મહાદેવ- સુરત
- – સિધ્ધનાથ મહાદેવ મંદિર સરસ, ઓલપાડ










