![]()
– ભારતમાં વાયુ પ્રદૂષણથી વર્ષે 20 લાખ લોકોનાં મોત
– ફટાકડા ફોડવા, ધૂમાડો ઓકતા વાહનો, એસી દ્વારા છોડાતો ગ્રીનહાઉસ ગેસ, શહેરોમાં વૃક્ષોનું નિકંદન, કોંક્રિટના જંગલો, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો વધતો વપરાશ
– દુનિયાની 36 ટકા વસતી વાયુ પ્રદૂષણના ભરડામાં, વર્ષે 79 લાખનાં મોત : બોસ્ટનની હેલ્થ ઈફેક્ટ ઈન્સ્ટિટયૂટનું તારણ
નવી દિલ્હી : દુનિયામાં વાયુ પ્રદૂષણના કારણે ગંભીર ખતરો સર્જાયો છે. વાયુ પ્રદૂષણથી લાખો લોકોનાં મોત તો થઈ જ રહ્યા છે, સાથે સાથે અન્ય સમસ્યાઓ પણ ખડી થઈ રહી છે. માનવ સ્વાસ્થ્ય સામે કેટલાય જોખમો વાયુ પ્રદૂષણની આડઅસરના કારણે જોવા મળી રહ્યા છે. જગતના સેંકડો લોકોને ફેફસા, શ્વસનતંત્ર, હૃદયની બીમારી વાયુ પ્રદૂષણના કારણે થઈ રહી છે. બોસ્ટનની હેલ્થ ઈફેક્ટ્સ ઈન્સ્ટિટયૂટના લેટેસ્ટ અહેવાલમાં વાયુ પ્રદૂષણની ગંભીર અસરો અંગે ચેતવણી આપવામાં આવી છે.
અહેવાલ પ્રમાણે એશિયામાં વાયુ પ્રદૂષણની સર્વાધિક અસર છે. ખાસ તો સૌથી વધુ વસતી ધરાવતા ચીન અને ભારતમાં તેની એટલી ગંભીર અસર થાય છે કે બંને દેશોમાં લગભગ ૪૦ લાખ લોકોનાં મોત પાછળ વાયુ પ્રદૂષણ જવાબદાર પરિબળ છે. સ્ટેટ ઓફ ગ્લોબલ એર ૨૦૨૫ના અહેવાલમાં કહેવાયું કે ભારતમાં ૨૦ લાખ લોકો વર્ષે વાયુ પ્રદૂષણથી મૃત્યુ પામે છે. ચીનમાં પણ વાયુ પ્રદૂષણના કારણે ૨૦ લાખ લોકોનાં મોત થાય છે. દુનિયામાં હવાના પ્રદૂષણથી ૭૯ લાખ લોકોનાં મોત થાય છે અને એમાં અડધો અડધ તો ભારત-ચીનમાં જ થાય છે.
ચીન-ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન, બ્રાઝિલ જેવા દેશોમાં વાયુ પ્રદૂષણની ખતરનાક અસરો જોવા મળી છે. જગતમાં સરેરાશ આઠમાંથી એક મૃત્યુનું કારણ ખરાબ હવા હોય છે. જગતની ૩૬ ટકા વસતી ભયાનક વાયુ પ્રદૂષણની અસર હેઠળ જીવી રહી છે. ડિમેન્શિયા, ડાયાબિટિસ, શ્વસનતંત્રના રોગો, હૃદયરોગ વગેરે પાછળ પણ હવાનું પ્રદૂષણ જવાબદાર છે. રિપોર્ટ પ્રમાણે જગતમાં ૨૫ ટકા હાર્ટની બીમારી પાછળ વાયુ પ્રદૂષણ કારણભૂત છે. હાઈ બ્લડ પ્રેશર એ અપમૃત્યુનું દુનિયામાં પહેલા નંબરનું કારણ છે. બીજો નંબર વાયુ પ્રદૂષણનો આવે છે.
છેલ્લાં પાંચ વર્ષમાં વાયુ પ્રદૂષણ ખૂબ વધ્યું છે અને તેના પગલે વાયુ પ્રદૂષણથી થતી બીમારીઓ પણ વધી ગઈ છે. એક દશકા પહેલાં વાયુ પ્રદૂષણથી થતાં મૃત્યુનો આંકડો ૫૦ લાખ હતો, એક જ દશકામાં એ વધીને બમણો થયો છે અને આગામી પાંચ જ વર્ષમાં વર્ષે એક કરોડ લોકો વાયુ પ્રદૂષણથી મૃત્યુ પામે એવી દહેશત વ્યક્ત થાય છે.
વાયુ પ્રદૂષણની શરીરમાં કેવી રીતે અસર થાય છે?
પીએમ ૨.૫ એટલા સુક્ષ્મ કણો હોય છે કે એ ફેંફસામાં પહોંચી જાય છે. ફેંફસામાં ધીમે ધીમે સોજો આવે છે. ફેંફસામાં બળતરા થાય છે. લાંબાંગાળે રક્તવાહિનીઓ અસ્થિર થાય છે. એમાંથી ઘણાં લોકોને હાર્ટ એટેકનું જોખમ ખડું થાય છે. કેટલાકને વળી બ્રેઈન સ્ટ્રોક આવી શકે છે અને શરીરમાં વિકાર થાય છે. એ કેન્સરમાં પરિણમે છે.










