![]()
બિહારમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલ
કલેકટરને સ્થળ તપાસ કરી અહેવાલ સોપવા ચૂંટણી પંચનો આદેશ
સમસ્તિપુર: બિહારના સમસ્તીપુર જિલ્લામાં સરાયરંજન વિધાનસભા ક્ષેત્રમાં કેએસઆર કોલેજની પાસે સડક કિનારે ભારે સંખ્યામાં ઇવીએમથી નીકળનાર કાપલીઓ વિખેરાયેલી મળી આવી હતી. રાષ્ટ્રીય જનતા દળે આ મુદે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને ચૂંટણી પંચની શાખ પર સવાલ ઉઠાવ્યાં હતાં.
આરજેડીએ એક્સ પર લખ્યું કે સમસ્તીપુરના સરાયરંજન વિધાનસભા ક્ષેત્રમાં કેએસઆર કોલેજ પાસે સડક પર મોટી સંખ્યામાં ઇવીએમથી નીકળનાર વીવીપેટ પહોંચ ફેકી દેવાયેલ મળી આવી હતી.
ક્યારે, કઇ રીતે, કોના ઇશારે આ પહોચને ફેકવામાં આવી હતી? શું ચૂંટણી પંચ તેનો જવાબ આપશે? શું આ બધુ બહારથી આવીને બિહારમાં ડેરા જમાવેલ લોકતંત્રના ડાકુઓના નિર્દેશ પર થઇ રહ્યું છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારે આ મુદે ત્વરીત કાર્યવાહી કરતાં સબંધિત સહાયક રિટર્નિંગ ઓફિસર (એઆરઓ) ને બેજવાબદારીના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવેલ છે, તેમની વિરુધ્ધ એફઆઇઆર દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.સંમસ્તીપુરના જિલ્લા ચૂંટણી અધિકારી (કલેકટર)ને સ્થળ પર જઇને તપાસ કરવા અને અહેવાલ સોપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે સત્તાવાર નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે આ વીવીપેટની પહોંચ મોક પોલ દરમિયાન ઉપયોગ કરવામાં આવી હતી. આ સ્લીપોને હેન્ડલ કરવામાં એઆરઓ દ્વારા લાપરવાહી દાખવી હતી. આનાથી વાસ્તવિક મતદાનની પ્રક્રિયાની પ્રામાણિકતા પર કોઇ અસર પડી ન હતી. બધા ઉમેદવારોને ડીએમ દ્વારા જાણ કરવામાં આવી હતી.
બિહાર વિધાનસભામાં ૬ નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. સરાયરંજન વિધાનસભા ક્ષેત્રમાં પ્રથમ તબક્કામાં મતદાન થયું છે.વાસ્તવિક મતદાન પહેલા દરેક બુથ પર મોક પોલ થાય છે.જેથી ઇવીએમ અને વીવીપેટ બરાબર કામ કરે છે તેની તપાસ થઇ શકે અને ચૂંટણી કર્મચારીઓને તાલીમ આપી શકાય.










