અમદાવાદ,શનિવાર
સરસપુરમાં નવરાત્રીમાં થયેલી તકરારની અદાવતમાં બે જૂથો લાકડીઓ સાથે ધસી આવ્યા હતા અને સામ સામે પથ્થરમારો કરી આતંક મચાવ્યો હતો. પોલીસે ૫૦થી વધુ લોકોના ટોળાને વિખેરવા પ્રથમ સાયરન વગાડીને તથા મેગા ફોેનથી વોર્નિંગ આપી હતી તેમ છતાં મચક ના આપતાં પોલીસે બળપ્રયોગ કર્યો હતો. બેકાબુ ટોળાએ રિક્ષા અને કારમાં તોડફોડ કરી હતી. આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે ૫૦ના ટોળા સામે રાયોટિંગ સહિતની કલમ મુજબ ગુનો નોંધીને પાંચ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સાયરન વગાડી મેગાફોનથી વિખેરવા સૂચના આપી, ૫૦ના ટોળાએ મચક ના આપતાં શહેરકોટડા પોલીસે બળપ્રયોગ કર્યો રાયોટિંગો ગુનો નોંધી પાંચની ધરપકડ
શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ તરીકે આર.કે.ભરવાડે સરસપુરમાં રહેતા પિયુષ પટણી, રવિ, વિશાલ ઠાકોર, કૃણાલ, વિરાજ સહિત ૫૦ જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે શુક્રવારે તેઓ નોકરી પર હાજર હતા ત્યારે કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે સરસપુર બોરડીવટનગરના છાપરા નજીક બળયાદેવ મંદિર પાસે લાકડીઓ સાથે લોકોનું ટોળું ભેગુ થઇને સામ સામે પથ્થરમારો કરે છે. જેથી પીએસઆઇ અન્ય પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા
આ સમયે ત્યાં પટણી અને ઠાકોર સમાજના ૫૦થી વધુ લોકોનું ટોળુ લાકડીઓ અને પથ્થરોથી એકબીજા પર હુમલો કરતા હતા. જેથી પોલીસે બળપ્રયોગ કરીને ટોળાને વિખેર્યું હતું. બેકાબુ ટોળાએ રિક્ષા અને કારની તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી પાંચ આરોપીને પકડીને પોલીસ સ્ટેશન લઇને આવ્યા હતા.










