વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
સાવરકુંડલાના પનોતા પુત્ર અને હાસ્યકાર શ્રી રતિલાલ બોરિસાગરને 2026 નો પદ્મશ્રી પુરસ્કાર અર્પણ કરવાની ભારત સરકાર દ્વારા જાહેરાતથી સાવરકુંડલામાં નગર ગૌરવ અનુભવે તે સ્વાભાવિક છે.તે ગૌરવને વધુ ગૌરવાન્વિત કરવા તારીખ 19 ફેબ્રુઆરીની સાંજે વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા એ ગરિમામય કાર્યક્રમ પૂજ્ય મોરારિબાપુની પાવન ઉપસ્થિતિમાં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે યોજાઈ ગયો.
વિધાગુરુ ફાઉન્ડેશનનો પાયો શ્રી હરેશ મહેતા જેવા આ. રતિલાલ બોરીસાગરના શિષ્યોએ 2011માં નાખીને એક ઉત્તમ આરોગ્ય મંદિર ઉભું કરવાનું છે શ્રેય પણ પ્રાપ્ત કર્યું છે.
આજના કાર્યક્રમમાં મુંબઈના એકાંકી નાટ્ય કલાકાર શ્રી રાજુલ દીવાન દ્વારા રતિલાલ બોરીસાગરની હાસ્ય કૃતિ ‘એન્જોય પ્લાસ્ટિ’ પર એકાંકી પ્રસ્તુત થયું. કાર્યક્રમમાં સ્વાગત કરતા સંસ્થાના પ્રમુખ શ્રી હરેશ મહેતાએ સૌને આવકાર્યા. સર્જક શ્રી રતિલાલ બોરીસાગરે કહ્યું કે મને આ પ્રકારનું સન્માન પ્રાપ્ત થાય તેવું કલ્પનામાં પણ ન હતું પરંતુ ઈશ્વરે અને પૂજ્ય બાપુ જેવી વિભૂતિના સદૈવ આશીર્વાદથી આ શક્ય બન્યું છે તેનો રાજીપો છે. ધારાસભ્ય શ્રી મહેશ કસવાલાએ કહ્યું કે સેવા અનેક રીતે થઈ શકે છે અને તેમાંની એક સેવા કલમ સેવા પણ છે. તે સાવરકુંડલાના પનોતા પુત્ર શ્રી રતિલાલ બોરીસાગરના કર્મથી સાબિત થઈ શક્યું છે.અને કલમથી ભારત સરકારનું શ્રેષ્ઠત્વ પ્રાપ્ત થઈ શકે છે. હું સાવરકુંડલાના પ્રતિનિધિ તરીકે તેને આવકારું છું.
પૂજ્ય મોરારિબાપુએ કહ્યું કે સર્જકના ચતુર્મુખ હોય છે તેમાં વિવેક, વિનોદ, વિશ્વાસ અને વીતરાગને આપણે મૂકી શકીએ.મને આ ચાર મુખો રતિબાપામા દેખાઈ રહ્યાં છે.આપણા સૌ માટે આ ગૌરવ રૂપ ઘડી છે.
કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રણવ પંડ્યા એ કર્યું હતું. વ્યવસ્થા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સંચાલકો અને વહીવટદાર શ્રી ડો. પ્રકાશભાઈ કટારીયાએ કરી હતી.આ પ્રસંગે માનવમંદિરના પુ.ભક્તિરામ બાપુ અને સાવરકુંડલાના ગણમાન્ય લોકો ઉપસ્થિત હતાં.










