![]()
– નડિયાદ તાલુકામાં અકસ્માતના બે બનાવ
– અલીણા ડાકોર રોડ પર કૂતરું આવતા ધીમી પાડેલી બાઈક પાછળ બાઈક ટકરાતા 3 ને ઈજા
નડિયાદ : નડિયાદ ડાકોર રોડ ઉપર સલુણ એસટી સ્ટેન્ડ નજીક એક્ટિવા પાછળ બાઈક અથડાતા ગંભીર ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલકનું મોત થયું છે. જ્યારે અલીણા સીમમાં બે મોટરસાયકલ અથડાતા ત્રણને ઇજા થઈ હતી.
નડિયાદ તાલુકાના શુરાશામળ ગામના ચિરાગ દરજીના કાકા પ્રફુલભાઈ મગનભાઈ દરજી એક્ટિવા લઈ કંજોડા જતા હતા. સલુણ એસટી સ્ટેન્ડ નજીક નડિયાદ તરફથી બાઈક એક્ટિવા પાછળ અથડાયું હતું. એકટીવા ચાલકને માથામાં અને બાઈક ચાલક જયેશભાઈ રમેશભાઈ ભોજાણીને પણ ઈજા થઈ હતી. એક્ટિવા ચાલક પ્રફુલભાઈ દરજી (ઉં.વ.૬૩)ને હેમરેજ થતા પહેલા નડિયાદ સિવિલ અને બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં તેમનું ગઈકાલ સવારે મોત થયું હતું. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે બાઈક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
ઠાસરાના પીપલવાડાના આદિત્ય રાજુભાઈ દરબાર બોરડી ગામે ફોટોગ્રાફીના ઓર્ડર માટે બાઈક પર ગયા હતા. અલીણા ડાકોર રોડ ઉપર કૂતરું આવતા બાઈક ધીમી પાડતા પાછળથી અન્ય મોટરસાઈકલ અથડાઈ હતી. અકસ્માતમાં આદિત્ય રાઠોડ, વાઘજીભાઈ રાઠોડ તેમજ ઈલ્યાસ સિકંદરખાન પઠાણ (રહે. કાલસર)ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે આદિત્ય રાજુભાઈ રાઠોડની ફરિયાદના આધારે મહુધા પોલીસે ગુનો દાખલ કર્યો છે.










