![]()
– કચ્છ- ભૂજના માલધારી ઘેટાં- બકરા સાથે પસાર થઇ રહ્યાં હતા
– વિરોચનગર પાસે તાજેતરમાં થયેલા અકસ્માત બાદ ખાડામાં પડેલા ઝેરી કેમિકલયુક્ત પાણીના કારણે ઘેટાના મોત થયાંનો આક્ષેપ
બગોદરા : સાણંદ- વિરમગામ હાઇવે પર વિરોચનગર ગામ પાસે ખાડામાં પાણી પીધા બાદ ૩૫ ઘેટાંના મોત થયું હતું.ઘેટાના ટપોટપ મોત થતાં માલધારી પરિવાર પર આફત આવી પડી હતી. નોંધનીય છે કે, તાજેતરમાં અકસ્માતમાં કેમિકલ ભરેલું ટેન્કર લીકેજ થતાં પાણી ભરેલા ખાડામાં ભળી ગયું હતું. જેના કારણે પશુઓનાં મોત થયા હોવાનો માલધારીએ આક્ષેપ કર્યો છે.
સાણંદ- વિરમગામ હાઇવે પર વિરોચનનગર પાસે તાજેતરમાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કેમિકલ ભરેલું ટેન્કર પણ હતું. અકસ્માત બાદ વાહનોમાં ભયાનક આગ ભભૂકી હતી. બે વ્યકિતનાં મોત થયા હતા. તે દરમિયાન ટેન્કરમાંથી લીક થયેલું જોખમી કેમિકલ હાઇવેની સાઇડમાં આવેલા પાણી ભરેલા ખાડાઓમાં ભળી ગયું હતું.
માલધારી રઘુભાઇ રબારી ( રહે. કચ્છ ભૂજ) પોતાના ઘેટા- બકરા સાથે પસા થઇ રહ્યાં હતા.ત્યારે વિરોચનગર ગામ પાસે ખાડામાં ભરેલું પાણી ઘેરા-બકરાંએ પીધું હતું. આ ઝેરી કેમિકલયુક્ત પાણી ઘેરા બકરાંએ પીધી બાદ તરફડિયા મારવા લાગ્યા હતા અને ટપોટપ ૩૩ ઘેટાં અને બે બકરાના ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાને લઇ પશુ ડોક્ટરોને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને પ્રાથમિક સારવાર કરી હતી. ૩૫ ઘેટાં -બકરાનાં મોત થતાં માલધારી પરિવાર પર આભ ફાટયું હતું. આજીવિકાનું સાધન છીનવાયું હતું. જોકે, આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
માલધારીએ આક્ષેપ કર્યો છે કે, અકસ્માત બાદ કેમિકલયુક્ત પાણીના કારણે પશુઓનાં મોત થયા છે.તંત્રની બેદરકારીથી કેમિકલને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવતા અને સુરક્ષિત રીતે દૂર ન કરાતા પશુઓનાં મોત થયા છે.










