(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૭
સુપ્રીમ કોર્ટે સમગ્ર ભારતમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ
રિવિઝન (એસઆઇઆર) કરાવવાનાં ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજીઓ પર ૧૧ નવેમ્બરે સુનાવણી
કરવા સંમતિ દર્શાવી છે.
બિન સરકારી સંગઠન એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ વતી
હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે આ મુદ્દો લોકશાહીનાં મૂળ સુધી જાય
છે. ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચાની ખંડપીઠે જણાવ્યું
હતું કે તે ૧૧ નવેમ્બરે આ અરજીઓ પર સુનાવણી કરશે.
ખંડપીઠે જણાવ્યું હતું કે ૧૧ નવેમ્બરે અન્ય મહત્ત્વપૂર્ણ
કેસોની સુનાવણી હોવા છતાં તે એસઆઇઆરની અરજીઓની સુનાવણી કરવાનાં પ્રયત્નો કરશે.
ભૂષણે જણાવ્યું હતું કે કેસની સુનાવણી એટલા માટે જરૃરી છે
કારણકે વિભિન્ન રાજ્યોમાં એસઆઇઆરની પ્રક્રિયા શરૃ થઇ ગઇ છે.
સુપ્રીમ કોર્ટ બિહારમાં એસઆઇઆર કરાવવાનાં ચૂંટણી પંચનાં નિર્ણયની
કાયદેસરતાને પડકારતી અરજીઓ અગાઉથી જ સુનાવણી કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ૧૬ ઓક્ટોબરે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં
જણાવ્યું હતું કે બિહારમાં મતદાર યાદીનું એસઆઇઆર સચોટ છે. ચૂંટણી પંચે આરોપ મૂક્યો
હતો કે અરજી કરનાર રાજકીય પક્ષ અને બિન સરકારી સંગઠન આ પ્રક્રિયાને ફક્ત બદનામ
કરવા માટે જૂઠા આક્ષેપો કરી રહ્યાં છે.
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અંતિમ મતદાર
યાદીના પ્રકાશન પછી એક પણ મતદારે નામ કમી કરવા સામે અપીલ દાખલ કરી નથી.










